વલ્લભ વિદ્યાનગરમાં આવેલી બીવીએમ એન્જિનીયરીંગ કૉલેજના વર્ગ ચારના 14 કર્મચારીઓએ છેલ્લાં 15 દિવસથી હડતાલ પાડી છે. 7 વર્ષથી વારંવાર રજૂઆત કરવા છત્તાં પગાર વધારો થતો નથી. વધુમાં સીએલ અને પીએફનો લાભ ન મળતો હોવાથી કર્મચારીઓ ધરણાં પર બેઠાં હતા. કર્મીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે, નવા આવેલા કર્મીઓને સરકારી ધારાધોરણ મુજબ તમામ લાભ આપવામાં આવે છે, જ્યારે તેઓને હજુ કોઈ પણ પ્રકારનો લાભ આપવામાં આવતો નથી. કર્મીઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, છેલ્લાં 7 વર્ષથી પગાર વધારવાની તેઓ માંગ કરી રહ્યા છે અને 10 વર્ષથી હાઇકોર્ટમાં કેસ પણ લડી રહ્યા છે.
દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે પરંતુ પગારમાં વધારો કરી આપવામાં આવતો નથી. નવા નિમાયેલા કર્મચારીઓને ફૂલપગાર, સીએલ અને પીએફનો લાભ આપે છે તો વર્ષોથી ફરજ બજાવતા કર્મીઓને કેમ અન્યાય કરવામાં આવે છે ? હડતાલ કરનારા કર્મચારીઓમાં 15 વર્ષથી ઓછો કાર્યકાળ કોઈનો નથી. સરકારના ધારાધોરણ મુજબ તેઓને પગારમાં વધારો પણ કરવામાં નથી આવ્યો અને સીએલ અને પીએફ જેવા લાભ પણ મળતા નથી. તેમની માંગણીઓને ન્યાય મળે તેવી માંગ તેમણે કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.