આણંદ પાસેના વલાસણમાં ત્રણ-સવા ત્રણ વર્ષ અગાઉ મજૂરી કામે જવા બાબતની બોલાચાલી થતાં શખસે પડોશી માતા-પુત્ર પર ધારીયાથી જીવલેણ હુમલો કર્યો હતો. આ અંગે આણંદ જિલ્લા કોર્ટે આરોપી શખસને તકશીરવાર ઠેરવી આજીવન જેલ અને રૂપિયા 25 હજારના દંડની સજા ફટકારી છે.
વલાસણ ગામની મોટી કેનાલ પાસે આવેલા વારૂ તલાવડી પાસે જગદીશભાઈ મોહનભાઈ ચૌહાણ રહે છે. વર્ષ 2019ની આ ઘટના છે. જેમાં 13મી નવેમ્બરના રોજ તેમની પત્ની રમીલાબેન ફરિયાદી કોકિલાબેન સોમાભાઈ ચૌહાણના પરિવારજનો સાથે મજૂરી કામે જતી હતી. જે બાબતની રીસ રાખીને બપોરે સવા એક વાગ્યે જગદીશભાઈએ ગમે તેમ અપશબ્દ બોલવાનું ચાલુ કર્યું હતું.
જેથી વિશાલભાઈએ અપશબ્દ બોલવાની ના પાડતા જગદીશભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના ઘરેથી ધારીયું લઈ આવ્યો હતો અને વિશાલભાઈને મારી દીધું હતું. જેથી લક્ષ્મીબેન છોડાવવા વચ્ચે પડતાં તેમને પણ માથામાં ડાબી બાજુ ધારીયું મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. કોકિલાબેન તેમજ અન્યો છોડાવવા વચ્ચે પડતા તેમને પણ ગાળો બોલીને વિશાલને ફરીથી જાેઈ લઈશ તેમ જણાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને ધારીયું લઈને ત્યાંથી જતો રહ્યો હતો.
ગંભીર રીતે ઘવાયેલા બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે વિદ્યાનગર પોલીેસે કોકિલાબેનની ફરિયાદના આધારે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી જગદીશભાઈ ચૌહાણની ધરપકડ કરી હતી. દરમિયાન, આ કેસ આણંદના ચોથા એડીશ્લ સેશન્સ જજની કોર્ટમાં ચાલી ગયો હતો. જ્યાં ફરિયાદ પક્ષે સરકારી વકીલ જે. એસ.ગઢવી હાજર રહ્યા હતા. તેમની દલીલોને ગ્રાહ્ય રાખીને જજ એસ. એ. નકુમે સરકારી હત્યાના પ્રયાસના ગુનામાં 49 વર્ષીય આરોપી જગદીશ મોહન ચૌહણને આજીવન કેદ અને રૂપિયા 25 હજારનો દંડ અને દંડની રકમમાંથી ફરિયાદી લક્ષ્મીબેનને રૂપિયા 20 હજાર વળતર પેટે ચૂકવવા કોર્ટે હૂક્મ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.