તારાપુર એપીએમસીમાં 2010 માં મળેલી સભામાં પ્રમુખ તથા સભ્યોએ ગેરકાયદે ઠરાવ કરી ફાજલ જમીનમાં દુકાનો બનાવી ભાડે આપી દેતા વિવાદ સર્જાયો હતો જે અંગે ખેત બજાર નિયામક રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી લોકોમાં રોષ જોવા મળ્યો છે.નિયમ મુજબ ફાજલ જમીન ઉપર બાંધકામ કરવું હોય, ફાળવણી કરવી હોય કે ભાડે આપવી હોય તો બજાર સમિતિ દ્વારા સરકારની પૂર્વ મંજૂરી લેવી પડે. બજાર સમિતિની ફાજલ જમીન સરકારની પૂર્વ મંજૂરી સિવાય ફાળવી શકાય નહીં.
ભૂતકાળની બજાર સમિતિ દ્વારા 28/05/2010ની જનરલ સભાના ઠરાવ નં. 8 થી બજાર સમિતિની ફાજલ જમીન નિયમ વિરુદ્ધ હેતુફેર કરી પ્રમુખસ્થાનેથી અયોગ્ય ઠરાવો કરી સો રૂપિયાના સ્ટેમ્પ પર ભાડા કરાર કરી, માસિક 150 રૂપિયાના નજીવા ભાડે 2013માં બાંધકામ કરી ખોટી રીતે ફાળવી દેવામાં આવી હતી. અંદરખાને મોટી રકમ શેરવી લઈ ગેરકાયદેસર રીતે મળતિયાઓને ભાડે ફાળવી દઈ કબ્જો કરી બજાર સમિતિ તારાપુરને ખૂબ જ મોટું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
જેની લેખિત રજૂઆતો વર્ષ 2021માં નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગર તથા નાયબ નિયામક આણંદને કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. બે દુકાનો વચ્ચેની જગ્યા ફાજલ કઈ રીતે હોઈ શકે, નિયમ વિરુદ્ધ હેતુફેર કરી પ્રમુખ સ્થાને થી અયોગ્ય ઠરાવો કરી ફાજલ બનાવી દેવામાં આવી છે.દુકાનો બનાવ્યા બાદ નંબર ફાળવવામાં આવ્યા ન હતા.આ અંગે ભાડુઆતોને પણ નોટિસ આપવામાં આવી છે પરંતુ ભાડુઆતો જવાબ આપતા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.