પેટલાદમાં બકરીનું શિંગડું ગાળીયામાં ફસાઈ જતાં, બકરી મારવા મુદ્દે બે પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પેટલાદમાં ગૌસીયા મદ્રેશાની સામે રીયાજોદ્દીન નજીરોદ્દીન શેખ પોતાના પરિવાર સાથે રહે છે. તેઓની બકરીનુ શિંગડું નજીકમાં રહેતા ઇનાયતખાન નબીદાતખાન પઠાણની બકરીના ગળામાં બાંધેલા ગાળીયામાં ફસાઈ ગયું હતું.
જેથી રીયાજોદ્દીન શેખ ગાળીયામાંથી બકરીનું શિંગડું બહાર કાઢતા હતા. ત્યારે ઇનાયતખાન પઠાણ ઉપરાંત અકીલખાન પઠાણ, ઝરીનાબાનુ પઠાણ, ઈસ્માઈલખાન પઠાણે ભેગા મળીને અમારી બકરીને કેમ મારો તેમ કહી મારામારી કરી હતી. પોલીસે ચાર જણાં સામે ફરિયાદ નોંધી હતી. એ જ રીતે સામા પક્ષે ઝરીનાબીબી પઠાણની ફરિયાદ અનુસાર રીયાજોદ્દીન નજીરોદ્દીન શેખ, મુનાફોદ્દીન રીયાજોદ્દીન શેખ, રેહનાબાનુ રીયાજોદ્દીન શેખ અને કરીશ્માબાનુ રીયાજોદ્દીન શેખે બકરીને મારવા બાબતે ઝઘડો કરી, અપશબ્દ બોલી માર માર્યો હતો. બંને પક્ષે પોલીસે મારામારીની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.