આંકલાવ તાલુકાના આસોદર ગામે પરિણીતાએ સાસુ સાથે ઝઘડો કરી તેમને ઘરની બહાર કાઢી મુકયા હતા. વધુમાં તેના પુત્ર અને પિતાની મદદ લઈ તેણે તેના સાસુ અને નણંદોને માર મારતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
આસોદર મકાઈની તલાવડીની સીમમાં 70 વર્ષીય કમળાબેન ઉદેસિંહ પઢિયાર દીકરા રાજેશ અને તેની પત્ની સુમિત્રા સાથે રહે છે. ગત બીજીએ પુત્રવધુ સુુમિત્રાએ સાસુ કમળાબેન સાથે નજીવી બાબતે ઝઘડો કરી તેમને ઘરમાંથી કાઢી મુકયા હતા. આ વાતની જાણ થતાં તેમની વડોદરાના રણોલી ગામે રહેતી દીકરી હેમાબેન અલ્પેશભાઈ સોલંકી, રામપુરા રહેતી મીનાબેન અને ત્રીજી દીકરી રમીલાબેન તરત જ આસોદર ગયા હતા.
જેને પગલે સુમિત્રાએ ફોન કરીને તેના પિતા શંકરભાઈ મણિભાઈ પરમારને બોલાવી લીધા હતા. બેનો ત્યાં ગઈ ત્યારે સુમિત્રાએ તેમને ગમે તેમ બોલી પિયરમાં ન આવવા કહી ધમકાવ્યા હતા. વધુમાં કમળાબેનને લાકડાથી માર માર્યો હતો. જોકે, બનાવમાં ત્રણેય બહેનો વચ્ચે પડતાં સુમિત્રાના દીકરા અજય અને તેના પિતા શંકરભાઈએ બંને બહેનોને પણ માર મારી ધમકીઓ આપી હતી. સમગ્ર બનાવ સંદર્ભે આંકલાવ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.