તારાપુરમાં પશુપાલન માટે આવેલા કચ્છી પરિવાર સીમ વિસ્તારમાં પશુ ચરાવતા હતા, તે દરમિયાન માથાભારે શખ્સો ત્યાં ધસી આવ્યા હતા અને પશુ ચરાવવા માટે નાણાં માંગી લાકડીથી હુમલો કર્યો હતો. આ અંગે તારાપુર પોલીસે પાંચ શખસ સામે ગુનો નોંધ્યો હતો.
કચ્છના ભચાઉ ખાતે રહેતા વિહાભાઈ રાજાભાઈ રબારી પશુપાલનનો વ્યવસાય કરે છે અને તેઓ તેમના પરિવાર સાથે ઉનાળાની સિઝનમાં કચ્છથી ચરોતરમાં પશુપાલન માટે આવે છે. તેઓએ થોડા દિવસ પહેલા જ તારાપુર ગામે વલ્લભ વિઠ્ઠલભાઈ પટેલના ખેતરમાં પડાવ નાંખ્યો હતો. દરમિયાન 6ઠ્ઠી મેના રોજ સવારે વિહાભાઈ તેમના પરિવારના અન્ય સભ્યો સાથે ઘેટાં બકરાં લઇ સીમ વિસ્તારમાં ચરાવવા લઇ ગયા હતા. તે સમયે તારાપુરના ભગા ભરવાડ જમાઇ તથા ગોબર વિહાભાઈ કાલીયા સહિત અન્ય શખ્સો લાકડી લઇ તેમના ઢેર ચરાવવા માટે આવ્યાં હતાં.
આ શખ્સો વિહાભાઈ પાસે આવીને કહેવા લાગ્યા હતા કે, કચ્છથી અમારા તારાપુર સીમમાં ઢોર ચરાવવા માટે આવો છો અને અમને પુછતા પણ નથી. અમારી મંજૂરી પણ લેતા નથી. તેમ કહી અપશબ્દ બોલી ઝઘડો કર્યો હતો. જેમાં પાંચેય જણ ઉશ્કેરાઇ લાકડીથી ભગા ભરવાડએ લાકડી પબા કરશન રબારીને માથામાં મારી દેતા ગંભીર ઇજા પહોંચી હતી. અમારી મંજૂરી વગર ગામની સીમમાં ઘેટાં બકરાં લઇ આવશો, તો જીવતા નહીં મુકીએ તેવી ધમકી આપી હતી અને ઘેટાં બકરાં ચરાવવા હોય તો અમારી મંજબરી મેળવી ડોર ઢાંખર માટે પૈસા આપવા પડશે. તેમ જણાવ્યું હતું.
આ અંગે વિહાભાઈ રબારીએ તારાપુર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે લાખા જોધા કાલીયા, પેથા રૂડા કાલીયા, બીજલ રૂડા કાલીયા, ગોબર વિહા કાલીયા અને ભગા ભરવાડ જમાઇ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.