આણંદમાં છ મહિના અગાઉ વંદે ભારત ટ્રેન સાથે પશુ અથડાવવાના બનાવ નોંધાયા બાદ શુક્રવારે માત્ર છ કલાકમાં ખંભાતથી આણંદ તરફ આવતી ડેમુ ટ્રેન સાથે બે વખત ગાય અથડાવવાના બનાવ નોંધાયા હતા. જેમાં એક ગાયનો પગ કપાઈ ગયો હતો, જ્યારે બીજા બનાવમાં ગાયનું મોત નીપજ્યું હતું. આમ, આણંદ જિલ્લામાં વધુ એક વખત પશુપાલકોની બેજવાબદારી સામે આવી છે.
આ અંગે વાત કરતાં આણંદ રેલવ સ્ટેશન માસ્તર આર. ડી. ક્રિશ્યને જણાવ્યું હતું કે, સવારે 11 વાગ્યાની આસપાસ ખંભાતથી આણંદ તરફ ડેમુ ટ્રેન આવતી હતી. એ સમયે અમીન ઓટો ફાટક પાસે ચરી રહેલી ગાય ટ્રેનની અડફેટે આવી ગઈ હતી. જેમાં તેનો પગ કપાઈ ગયો હતો.
એ જ રીતે બીજી તરફ સાંજે પાંચ વાગ્યે પુન: ખંભાતથી આણંદ આવતી ડેમુ ટ્રેનની અડફેટે કરમસદ પાસે વધુ એક ગાય આવતાં તેનું મોત નીપજ્યું હતું. જોકે, આ બંને બનાવ જ્યાં નોંધાયા છે તેની આસપાસ ગૌચર જમીન, ખેતરાળ વિસ્તાર છે. ક્યાંય ફેન્સીંગ નથી, જેને કારણે આ ઘટના સર્જાઈ છે.
સદનસીબે બંને બનાવમાં ટ્રેનના મુસાફરોનો બચાવ થયો છે. બીજા બનાવમાં ડેમુ ટ્રેનને આગળના ભાગે નુકસાન થતાં તેની રિપેરીંગની કામગીરી હાથ ધરાઈ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, બંને ગાયના કાન પરથી કોઈ ટેગ મળી આવ્યા નથી, જેને કારણે તેના માલિકો કોણ છે તેને લઈને રહસ્ય સર્જાયેલું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.