આણંદ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય નિભાવ ખર્ચ સહાયનો લાભ મેળવવા આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું છે. જેનો લાભ લેવા ખેડુતોએ 27મી મે સુધી આઈ પોર્ટલ પર અરજી કરવાની રહેશે. આ સહાય મેળવવા માટે ખેડુત પાસે ઓછામાં ઓછી 40 ગુંઠા જમીન હોવી જરૂરી છે.
રાજ્યમાં ખેડૂતોનો ખેતી ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે તેમજ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોમાં વધારો થાય તે માટ રાજય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના શરૂ કરવામાં આવી છે.આણંદ જિલ્લામાં આ પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજનાનો લાભ લેવા માટે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા હોય તેવા ખેડૂતો કે જેઓ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતાં હોય તેવા ખેડૂત કુટુંબને એક દેશી ગાયના નિભાવ ખર્ચ પેટે માસિક 900 (વાર્ષિક 10800)ની સહાય રાજય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.
આ સહાય મેળવવા ઇચ્છતા હોય તેવા ખેડૂત પાસે દેશી ગાય તેમજ ઓછામાં ઓછી ૪૦ ગુંઠા જમીન હોવી જરૂરી છે તેમજ ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતો હોવો જરૂરી છે.આ યોજનાનો અગાઉ વર્ષ 2020-21 અને 2021-22માં જે ખેડૂતોએ લાભ લીધો છે તેવા ખેડૂતોએ બીજીવાર અરજી કરવાની જરૂરિયાત રહેતી નથી.
આ યોજનાનો જે ખેડૂત લાભ લેવા ઇચ્છતો હોય તે ખેડૂતએ આઇ-ખેડૂત પોર્ટલ પર 27મી સુધીમાં અરજી કરવાની રહેશે. આઇ-ખેડૂત પોર્ટલ પર ખેડૂત દ્વારા અરજી કરવામાં આવ્યા બાદ તેની પ્રિન્ટ સાથે 7/12ની નકલ, 8ની નકલ, સંયુકત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું સંમતિપત્રક, બેન્ક પાસબુકની નકલ સાથે અરજી કર્યાના દિન-7(સાત)માં સંબંધિત તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજર કે આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજરને જમા કરાવી દેવા આણંદ, આત્માના પ્રોજેકટ ડાયરેકટરએ એક યાદી દ્વારા જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.