વિદ્યાનગરમાં માતૃ સંસ્થા દ્વારા અતિઆધુનિક વર્લ્ડ કલાસ કોમ્પ્લેક્સનું આવતીકાલે ભૂમિપૂજન કરાશે. ચરોતર મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજ–માતૃસંસ્થા દ્વારા નવનિર્માણ પામનારા વૈશ્વિક કક્ષાના અત્યાધુનિક વર્લ્ડ ક્લાસ મલ્ટીપર્પઝ કોમ્પ્લેક્સ “ઉત્કર્ષ”નો ભૂમિપૂજન સમારંભ 16મી એપ્રિલ, શનિવારે સવારે આણંદ-વિદ્યાનગર રોડ પર મોતીકાકાની ચાલી સામે યોજાશે. ક્રાંતિકારી સંત પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ (દંતાલી આશ્રમ)ના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે.
આ પ્રસંગે મુખ્ય મહેમાનોમાં અગ્રણી દાતા મનુભાઈ પી. ડી. પટેલ (એમિરેટ્સ ટ્રાન્સફોરમર્સ એન્ડ સ્વિચગિયર લિમિટેડ દુબઈ), વિખ્યાત ટેક્નોક્રેટ ડો. હરીશ પટેલ (યુએસએ), ડો. મોહન આઈ. પટેલ (પૂર્વ શેરીફ, મુંબઈ), પૂર્વ કેન્દ્રિય મંત્રી દિનશા પટેલ, ઉદ્યોગપતિ દેવાંગ પટેલ (ઇપ્કોવાળા), કેળવણી મંડળ-ચારુસેટ યુનિવર્સિટીના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, જમીન દાતા પરિવારના વિપેન્દ્ર લાલભાઈ પટેલ અને ડો. મુકુંદ ડી. પટેલ (સમાજ છાત્રાલય), ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના ચેરમેન વિપુલ પટેલ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને માતૃસંસ્થા અને સીએચઆરએફના પ્રમુખ નગીનભાઈ પટેલ હાજર રહેશે. તેમ માતૃસંસ્થા, કેળવણી મંડળ અને મંત્રી ડો. એમ. સી. પટેલે જણાવ્યું છે.
સન 1965માં વલ્લભ વિદ્યાનગરમાં સ્વ. દાદાભાઈ નારણભાઇ પટેલ પરિવાર (આણંદ) દ્વારા દાનમાં અપાયેલી 23 ગૂંઠા જમીન પર સમાજના વિદ્યાર્થીઓને રહેવા અને જમવાની સુવિધા મળે તે માટે કુલ 40 રૂમના છોટાભાઈ ભીખાભાઇ પટેલ છાત્રાલયનું નિર્માણ થયું હતું. હવે સમયની માગ મુજબ વૈશ્વિક કક્ષાનું વર્લ્ડ ક્લાસ અત્યાધુનિક 5 માળનું સુવિધાયુક્ત મલ્ટીપર્પઝ કોમ્પ્લેક્સ ‘ઉત્કર્ષ’નું નિર્માણ કરવાનો રૂ. 25 કરોડના ખર્ચે મેગા પ્રોજેકટ માતૃસંસ્થાએ હાથ ધર્યો છે.
મલ્ટીપર્પઝ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. જેમાં માતૃસંસ્થાનું હેડ ક્વાર્ટર, હોસ્ટેલ, ફિઝીયોથેરપી સેન્ટર, ટીચિંગ એન્ડ લર્નિંગ ક્લાસરૂમ, કોન્ફરન્સ રૂમ, ઓડિટોરિયમ શોપિંગ કોમ્પ્લેક્સ વગેરે સુવિધા ઊભી કરાશે. આ ઉપરાંત એરકંડિશન રૂમો, હૉલ, ડાઈનિંગ હૉલ, કિચન, કોમ્પ્યુટર રૂમ, ઈન્ડોર ગેમ્સની સુવિધા, પાર્કિંગ વ્યવસ્થા વગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.