આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના કાસોર ગામે સોમવારની બપોરે તળાવમાં ડૂબી જતાં બે મિત્રોના મોત થતાં ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ અંગે સોજિત્રા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કાસોર ગામના ઉમરાળાપુરા ગામે રહેતા બે મિત્રો યોગેશ દિનેશભાઈ પરમાર (ઉ.વ.17) અને અનીલ અમરસિંહ પરમાર (ઉ.વ.18) સોમવારના રોજ પશુચરાવવા સીમ વિસ્તારમાં ગયા હતા. દરમિયાનમાં બપોરના સુમારે તળાવમાં પડેલા પશુઓને બહાર કાઢવા યોગેશ તળાવમાં ઉતર્યો હતો.
આ સમયે યોગેશ અચાનક ડૂબવા લાગતાં બુમાબુમ કરી મુકી હતી. નજીકમાં રહેલા અનીલે પણ યોગેશને બચાવવા તળાવમાં જંપલાવ્યું હતું. થોડીવારમાં તો બન્ને મિત્રો તળાવના ઉંડા પાણીમાં ગરક થઇ ગયાં હતાં.
આ ઘટનાની જાણ ગામમાં પ્રસરતા જ તળાવ કાંઠે ગ્રામજનોના ટોળે ટોળા ઉમટી પડ્યાં હતાં અને તરવૈયાની મદદથી બન્નેના મૃતદેહોને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી. આ બનાવ અંગે સોજિત્રા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.