આણંદ જિલ્લા પંચાયતની ગુરૂવારના રોજ મળેલી સામાન્ય સભામાં વર્ષ 2023-24નું બજેટ રજુ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં 26.30 કરોડની આવક સામે 25.25 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. આમ રૂ.એક કરોડ ઉપરાંતની રકમ પુરાંત દર્શાવવામાં આવી હતી. આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ તથા ઉત્પાદન, સહકાર અને સિંચાઇ સમિતિની પુનઃ રચના કરવામાં આવી હતી.
આણંદ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ 2023-24નું બજેટ પણ રજુ કરવામાં આવ્યું હતું. જેમાં સ્વભંડોળની રકમ રૂ.26.30 કરોડ અંદાજવામાં આવી હતી. તેની સામે ખર્ચ 25.25 કરોડનો અંદાજવામાં આવ્યો હતો. આમ 2023-24ના વર્ષના અંતે રૂ.1.05 કરોડના પુરાંત વાળુ અંદાજપત્ર મંજુર કરવામાં આવ્યું હતું. આ અંદાજપત્રમાં સ્વભંડોળ ઉપરાંત રાજ્ય સરકારની તબદીલ થયેલી પ્રવૃત્તિઓ માટે 14.37 કરોડના આવક – ખર્ચ અંદાજવામાં આવ્યાં છે. જેમાં વિકાસ, બાંધકામ, સિંચાઇ, રેતી કંકર, સમાજ કલ્યાણ ક્ષેત્રે વિકાસના પાણીના કામો માટે રૂ.આઠ કરોડથી વધુ રકમની જોગવાઇ કરી છે. શિક્ષણ ઉપકરની રૂ.આઠ કરોડથી વધુ રકમની શાળાઓના બાંધકામ, મરામત અને અન્ય સુવિધાઓ માટે ખર્ચ કરવા જોગવાઇ કરવામાં આવી છે.આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન તરીકે માનસીબેન મહીડા તથા ઉત્પાદન, સહકાર અને સિંચાઇ સમિતિના ચેરમેન તરીકે અરવિંદભાઈ પરમારની નિમણૂંક કરવામાં આવી છે.
જિલ્લા પંચાયતમાં રાજીવ ગાંધી અને અટલબિહારી બાજપાઇની પ્રતિમા મુકાશે
આણંદ જિલ્લા પંચાયતની ગુરૂવારના રોજ મળેલી સામાન્ય સભામાં વિવિધ કામો મંજુર કરવામાં આવ્યાં હતાં. જેમાં તારાપુર તાલુકા પંચાયતના સ્ટાફ ક્વાટર્સ બનાવવા માટે જમીન ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત જિલ્લા પંચાયતના મીટીંગ હોલમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનું સ્ટેચ્યુ તથા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીનું સ્ટેચ્યુ નવી જિલ્લા પંચાયતના મુખ્ય પ્રવેશદ્વાર પાસે મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે નવી જિલ્લા પંચાયતના ખાતમુર્હૂત સમયના તત્કાલીન પ્રમુખના નામ સાથેની તકતી મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.