વસો તાલુકાના પેટલી ગામે રહેતા 70 વર્ષિય વૃદ્ધને બોલાચાલી થતાં બે પુત્રએ તેમને મારમાર્યો હતો. પુત્રએ મામાના ઘરે લગ્નમાં જવાની વાત કરતાં આ ઝઘડો થયો હતો. આ અંગે વૃદ્ધ પિતાએ બન્ને પુત્રો સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
પેટલી ગામે રહેતા ચંદ્રસિંહ દીપસિંહ રાઠોડ (ઉ.વ.70)ને સંતાનમાં ત્રણ પુત્ર અને ત્રણ પુત્રીઓ છે. તમામના લગ્ન કરી દીધાં છે. જેમાં સૌથી નાનો ઘનશ્યામસિંહ તેની સાસરીમાં રહે છે. ચંદ્રસિંહ 20મીના રોજ ખળે બેઠાં હતાં, તે વખતે ઘનશ્યામસિંહ તેમની પાસે આવ્યો હતો અને મામાના ઘરે મહીસા - વાસણા ગામે લગ્ન હોઇ એટલે મારે જવું છે, તેમ કહ્યું હતું. આથી, ચંદ્રસિંહે તેને એક દિવસ પછી જજે. તેવું કહેતા પિતા - પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલા ઘનશ્યામસિંહે અપશબ્દ બોલી ચંદ્રસિંહને ગડાદાપાટુનો મારમારવા લાગ્યો હતો.
આ સમયે ત્યાં મોટો પુત્ર ભુપેન્દ્રસિંહ પણ ધસી આવ્યો હતો અને બન્ને ભાઇએ ભેગા થઇ પિતાને લાકડાના દંડાથી મારમારી લોહી લુહાણ કરી મુક્યાં હતાં. જોકે, આસપાસના લોકો આવી જતાં તેઓએ ચંદ્રસિંહને વધુ મારથી બચાવ્યાં હતાં. આ અંગે સોજિત્રા પોલીસે ઘનશ્યામસિંહ ચંદ્રસિંહ રાઠોડ અને ભુપેન્દ્રસિંહ ચંદ્રસિંહ રાઠોડ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.