આણંદમાં રાજ્ય સરકાર દ્વારા આયોજીત ગરીબ કલ્યાણ મેળાના સુચારૂં આયોજન અર્થે બેઠક યોજાઈ હતી. જિલ્લામાં 25મીના રોજ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે. જેમાં જરૂરિયાતમંદ લાભાર્થીઓને વિવિધ વિભાગો દ્વારા સાધન-સહાય વ્યક્તિલક્ષી લાભો લાભાર્થીઓને આપવામાં આવશે. જિલ્લામાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મોરબી ખાતેથી ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવશે. મેળામાં અપાતા સાધનો ચકાસી લેવા કલેક્ટરે સૂચના આપી હતી. તેમજ આ મેળામાં જરૂરિયાતમંદ તમામ લાભાર્થીઓને આવરી લેવામાં આવે તે જોવાનો સંબંધિત અધિકારીઓની ફરજ રહેશે. તેમ કલેક્ટર મનોજ દક્ષિણીએ બેઠકમાં જણાવ્યું હતું.
ગુજરાત સરકાર દ્વારા આગામી 24, 25 અને 26મી ફેબ્રુઆરીના રોજ રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં 25મીના ગરીબ કલ્યાણ મેળો યોજાશે. જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાનું સુચારૂ આયોજન થાય અને મહત્તમ લાભાર્થીઓને તેનો લાભ મળી રહે એ માટે કલેક્ટર મનોજ દક્ષિણીની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટરે તમામ સંબંધિત વિભાગના અધિકારીઓને પોતાના વિભાગ હસ્તકની યોજનાઓના લાભાર્થીઓની સમયસર ઓનલાઈન એન્ટ્રી કરવા સહિત જરૂરિયાતમંદ તમામ લાભાર્થીઓને આવરી લેવામાં આવે તે જોવાના અનુરોધ કરી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કોવિડ-19ની માર્ગદર્શિકા પ્રમાણે કરવા જણાવ્યું હતું.
આ ઉપરાંત દરેક વિભાગના સંબંધિત અધિકારીઓને લાભાર્થીઓને આપવા પાત્ર થતા સાધનોની યોગ્ય ચકાસણી કરાવી લેવા પણ સુચવ્યું હતું. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાએ જિલ્લામાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળા સંબંધી સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર કેતકી વ્યાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે. વી. દેસાઇ, પ્રાંત અધિકારીઓ, સંબંધિત વિભાગના અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.