ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લાની 7 વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણી સંદર્ભે બીજા તબક્કામાં આગામી તા. 5 મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ આણંદ જિલ્લાના મતદાર વિભાગોમાં રહેલા મતદારોમાં મતદાન જાગૃત્તિ વધે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર ડી. એસ. ગઢવીના માર્ગદર્શન નીચે આણંદના અધિક નિવાસી કલેક્ટર કેતકી વ્યાસ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ સ્વીપના નોડલ અધિકારી અને આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આણંદ જિલ્લાના તમામ મતદાર વિભાગોમાં મતદાર જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહયાં છે.
આણંદ જિલ્લામાં મતદાર જાગૃતિ અર્થે યોજાઈ રહેલા આ કાર્યક્રમોમાં સ્વીપ અંતર્ગત તા. 15 મી નવેમ્બરના રોજ જિલ્લાની 1600 પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ તેમજ 50 કરતાં વધારે કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા તેમના વાલીઓ સુધી 4,41,000 જેટલા મતદાન જાગૃત્તિ માટેના સંકલ્પપત્રો પહોંચાડવામાં આવ્યા હતા. આ સંકલ્પપત્રોમાં વિદ્યાર્થીઓના વાલીની સહી સાથે તા. ૧૮ મી નવેમ્બરના રોજ સબંધિત પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજો ખાતે પરત જમા લેવામાં આવ્યા હતા.
ઉલ્લેખનિય છે કે, આ સંકલ્પપત્રોનો એક ભાગ વાલી પાસે રહેશે અને બીજો ભાગ કે જેમાં સબંધિત વિદ્યાર્થીના વાલીના નામ તેમજ સહી છે તે ભાગ તમામ સંસ્થાઓ દ્વારા મેળવવામાં આવ્યો છે અને તે દિન-૨ માં જિલ્લાની ચૂંટણી શાખામાં જમા કરાવવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.