ખંભાતમાં પાંચ હાટડી વિસ્તારમાં રહેતા અકીકના વેપારીના ઘરમાં ત્રાટકેલા તસ્કરો 3.50 લાખ રોકડાની ચોરી કરી લઇ ગયાં હતાં. વેપારી પરિવાર સાથે અમદાવાદ ઇદ મનાવવા ગયા તે દરમિયાન ચોરી થઇ હતી. આ ચોરીમાં તેઓ ધંધા માટે 2.50 લાખ બેન્કમાંથી લાવી મુક્યા હતા તે પણ ચોરાઇ ગયાં હતાં.
ખંભાતના પાંચ હાટડી વિસ્તારમાં રહેતા વસીમુદ્દીન સમસુદ્દીન મલેક ઘરે જ વસીમ અગેટ્સ નામની ફેક્ટરી ચલાવે છે અને અકીકનો વ્યવસાય કરે છે. તેઓ 5મી મે,22ના રોજ સવારના સાડા દસેક વાગે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી રૂ.અઢી લાખ રોકડા ધંધાના કામ અર્થે જરૂર હોવાથી લાવ્યાં હતાં. આ ઉપરાંત તેમની રોકડા એક લાખ હતાં. જે મળી કુલ રૂ.3.50 લાખ એક થેલીમાં મુકી લાકડાની તિજોરીમાં કપડા પાછળ મુક્યા હતાં.
આ દરમિયાનમાં વસીમુદ્દીન મલેક પરિવાર સાથે અમદાવાદ સાસરીમાં ઇદ નિમિત્તે મળવા ગયા હતા અને રાત્રિ રોકાણ ત્યાં જ કર્યું હતું. દરમિયાન તેમના ઘરમાં ચોરી થઇ હોવાનું જાણવા મળતાં તેઓ તુરંત ખંભાત દોડી આવ્યાં હતાં. તપાસ કરતાં ઘરનું તાળું નકુચામાંથી તુટેલું હતું અને બીજા રૂમના દરવાજાનું તાળું પણ તુટેલું હતું.
બીજા રૂમમાં મુકેલા લાકડાની તિજોરીનું લોક તુટેલું હતું અને કપડા, તિજોરીનો સામાન વેર વિખેર પડેલો હતો. લાકડાની તિજોરીમાં કપડા પાછળ પ્લાસ્ટીકની થેલીમાં મુકેલા રૂ.સાડા ત્રણ લાખ રૂપિયા જોવા મળ્યાં નહતાં. જે તસ્કર ચોરી ગયો હતાં. આ અંગે ખંભાત શહેર પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.