ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લાની વિધાનસભાની બેઠકો માટે બીજા તબક્કામાં તા. 5 મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. જે અન્વયે આણંદ જિલ્લામાં સમાવિષ્ટ સાત વિધાનસભાની બેઠકો માટે તા.10 નવેમ્બર 2022 થી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઇ ચુકી છે.આણંદ જિલ્લામાં ઉમેદવારી પત્રો ભરવાના આજના પાંચમાં દિવસે તા.14 નવેમ્બર 2022 ને સોમવારના રોજ જિલ્લાની બે વિધાનસભાની બેઠકો પર 1-1 ઉમેદવારી પત્રો ભરાયા છે.
આણંદ જિલ્લામાં આજે 109-બોરસદ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે રમણભાઈ ભીખાભાઈ સોલંકી અને 111-ઉમરેઠ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે અમરીશભાઈ હેમેન્દ્રભાઈ પટેલ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે જિલ્લાના બાકીના પાંચ વિધાનસભા મતદાર વિભાગોમાં કોઇ ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું ન હોવાનું સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે.
નોંધનીય છે કે તા. 17 નવેમ્બર 2022 ના રોજ ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ છે જ્યારે ભરાયેલા ઉમેદવારી પત્રોની તા.18 નવેમ્બર 2022 ના રોજ ચકાસણી કરવામાં આવનાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.