સરકારની મનરેગા યોજના હેઠળ ખંભાત તાલુકાના 30 થી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો ચાલે છે.જે કામો શ્રમિકો મારફતે પગાર ચૂકવીને કરાવવામાં આવતો હોય છે.પરંતુ ખંભાત તાલુકામાં છેલ્લાં બે મહિનાથી 850 થી વધારે શ્રમિકોને પગાર ચૂકવાયો નથી. જેના કારણે મજૂરી પર નિર્ભર શ્રમિકોની હાલત કફોડી અને દયનીય બની છે.તેઓનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ચૂક્યું છે.તાત્કાલિક બે મહિનાનો પગાર ચુકવવામાં આવે તેવી શ્રમિકોની માંગ પ્રબળ બની છે.
આ અંગે ઓલ ગુજરાત મનરેગા કર્મચારી યુનિયનના પ્રમુખ ઘનશ્યામભાઈ રાજે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં મનરેગા યોજના હેઠળ કામ કરતા કર્મચારીઓને છેલ્લા અઢી માસ ઉપરાંતના સમયથી માસિક પગાર ચુકવાયેલ નથી.સરકાર તરફથી ડિમાન્ડ બેઝ કાર્યક્રમ હોવા છતાંય શ્રમિકોની સંખ્યા વધારવા અને કામો શરૂ કરવા માટે માનસિક દબાણ ઉભું કરવામાં આવે છે. જ્યારે છેલ્લા બે માસ ઉપરાંતના સમયથી શ્રમિકોના ખાતામાં નાણાં જમા થયેલ ન હોવાના કારણે સ્થાનિક શ્રમિકો સાથે કર્મચારીને ઘર્ષણ ઉભું થયા કરે છે. આમ એકબાજુ પગાર ચૂકવાતો નથી અને ઉપરથી લક્ષ્યાંક ફાળવવામાં આવતા શ્રમિક કાયદા કરતા પણ ઓછું વેતન મેળવતા કર્મચારીઓમાં હતાશા અને રોષની લાગણી વ્યાપી ગઈ છે.
બે માસનું 17 લાખ 93 હજારનું ચુકવણું બાકી
29/12/20૨1થી ખંભાત તાલુકાના 850 શ્રમિકોને પગાર ચૂકવાયો નથી. અમારા તરફથી (એફ.ટી.ઓ) ફંડ ટ્રાન્સપર ઓર્ડરની કાર્યવાહી કરી મોકલી આપવામાં આવેલ છે. 17 લાખ 93 હજાર જેટલું શ્રમિકોનું ચુકવણું બાકી છે.- હાર્દિકભાઈ પટેલ, અકાઉન્ટ, મનરેગા ખંભાત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.