ખંભાત તાલુકામાં નવા વર્ષની પ્રથમ સંકલન બેઠક આજરોજ મામલતદાર કચેરી ખાતે યોજાઇ હતી. જેમાં ખંભાતના નવનિયુક્ત ધારાસભ્ય ચિરાગ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. તાલુકાના પાયાના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
પ્રાંત અધિકારી નિરૂપાબેન ગઢવીના અધ્યક્ષતામા સંકલનની બેઠક યોજાઇ હતી. જેમાં તાલુકાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંકલનની બેઠકમાં ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ દ્વારા કનેવાલ તળાવમાંથી ખંભાતને કેટલું પીવાનું પાણી આપવામાં આવે છે, કેટલા ફોર્સથી આપવામાં આવે છે, ખંભાત કનેવાલ લાઈનમાં કેટલા પંચર છે, જેને લઇ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેઓ દ્વારા એપીએલ અને બીપીએલ કાર્ડ ધારકોની પડતી હાલાકી અંગે રજૂઆત કરી હતી. જેમાં બીપીએલ કાર્ડ ધારકોને કેરોસીન બંધ કરી ઉજ્જવલા યોજનામાં ગેસના બાટલા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા બીપીએલ ધારકોને કેરોસીન બંધ થઈ ગયું છે. બીજી તરફ બાટલા પણ નથી મળી રહ્યાં જેને લઇ તાત્કાલિક ધોરણે તેઓને બાટલા ફાળવા તાકીદ કરવામાં આવી હતી. એ પી એલ કાર્ડ ધારકોના અનાજ બંધ થઈ ગયા છે. જેઓને તાત્કાલિક ધોરણે અનાજ મળતું થાય તેવી વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતુ. બીજી તરફ પોલીસ તંત્રને આગામી દિવસોમાં ઉત્તરાયણના તહેવારને પર્વને લઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે સંદર્ભે માહિતગાર કર્યા હતા. નગરપાલિકા ચીફ ઓફિસરને નિરાધાર તેમજ ગરીબ લોકો માટે ઠંડીમાં કોઈ આશરોના હોય તેઓ માટે હંગામી ધોરણે રેન બસેરા બનાવા જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.