આણંદ અને વડોદરા જિલ્લાને જોડતા આંકલાવ તાલુકાના ઉમેટા મહીસાગર બ્રિજ પર વર્ષોથી લોખંડની જાળી મારવાની રજુઆત કરવા છતાં હજુ સુધી જાળી મારવામાં આવી નથી ત્યાં બ્રિજની બન્ને બાજુ લોકોને ચાલવા માટે બનાવેલી ફૂટપાથ પર પ્રાઈવેટ ટેલીફોનિક કંપની દ્વારા ગેરકાયદે સિમેન્ટ કોંક્રિટ દ્વારા ફૂટપાથ પર કેબલો દબાવતા સ્થાનિકો દ્વારા કામકાજ બંધ કરાવી રોષ વ્યકત કરાયો છે. વધુમાં આવા કંપનીના મલિક વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ઉમેટાં મહીસાગર નદીના બ્રિજ પર લોકોને ચાલવા માટે તેમજ ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે હેતુથી બ્રિજની બંને બાજુ ફૂટપાથ આવેલી છે. જે ફૂટપાથ કેબલોના વાયરો નાંખી પૂરી દેતા ભારે વિવાદ સર્જાયો છે. બ્રિજની ફૂટપાથ પર સિમેન્ટ કોંક્રિટ દ્વારા કેબલો દબાવામાં આવ્યા છે અને ફૂટપાથ પૂરી દેવાતા સ્થાનિકો દ્વારા કામકાજ બંધ કરાવી રોષ વ્યક્ત કર્યો છે.
આ અંગે આંકલાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ પઢીયારે જણાવ્યું હતું કે બ્રિજ પરની ફૂટપાથ પર ટેલીફોનિક કંપનીઓ દ્વારા કેબલો ખેંચવામાં આવ્યા છે. જેથી બ્રિજ પરથી પસાર થતા રાહદરીઓનો રસ્તો બંધ થઈ જશે અને બ્રિજથી ફૂટપાથ ઊંચી થઇ જતા બ્રિજ પરથી પસાર થતા રાહદરીઓને નદીમાં પડી જવાનો ભય રહેશે.
જોકે વાંરવાર બ્રિજ પર લોખંડની જાળી મારવા માટે રજૂઆત કરેલી છે છતાં નથી થયું. પરંતુ આવી પ્રાઇવેટ કંપનીઓ દ્વારા ગેરકાયદે કેબલ ખેંચી બ્રિજને નુકશાન કરાય છે. બીજી તરફ આંકલાવના વકીલ જયદેવસિંહ પરમારે રોષ સાથે જણાવ્યું હતું કે કામગીરીથી રસ્તો બ્લોક થશે અને ફૂટપાથ ઊંચી કરતા અકસ્માતમાં પણ વધારો થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.