અમરેલીના સાવરકુંડલા શહેરમાં થોડા દિવસ પહેલા સિનિયર સિટીઝન હર્ષદભાઈ જોષી ચાલીને જતા હતા. આ દરમિયાન એક શ્વાને તેને બચકું ભર્યું હતું. જેથી તેમને સારવાર માટે સાવરકુંડલા શહેરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. ત્યારબાદ તેઓએ આ બાબતે ગ્રાહક સુરક્ષા મંડળમાં ફરિયાદ દાખલ કરાવી હતી અને વળતરની માંગ કરી હતી. જે ફરિયાદના આધારે ગ્રાહક સુરક્ષા મંડળે વળતર ચૂકવવા સાવરકુંડલા નગરપાલિકાને લીગલ નોટિસ ફટકારી છે.
વૃદ્ધને ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી
નોટિસમાં ઉલ્લેખ કરાયો છે કે, ફરિયાદી સિનિયર સિટીઝન છે. ત્યારે તેઓ સાવરકુંડલાની બજારમાંથી પોતાના ઘરેથી ચાલીને જતા હતા. તે દરમિયાન શ્વાન તેને કરડી જતા તેઓ નીચે પડી ગયા હતા. જેથી તેઓને ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી છે. નાગરિકોની સુખાકારીએ નગરપાલિકાની ફરજ અને જવાબદારી છે. જેમાં રખડતા ઢોર, શ્વાન, મચ્છર વગેરેથી નાગરિકોનું રક્ષણ કરવાની જવાબદારી નગરપાલિકાની છે. જે અંતર્ગત નગરપાલિકાને સબબ નોટિસ કરી જાણ કરવાની કે, આ નોટિસ મળ્યા દિન 15માં ફરિયાદીને થયેલી યાતના માનસિક ત્રાસ અને થયેલો ખર્ચ વ્યાજ સહિત ચૂકવી આપવો. તેમજ જો આમ કરવામાં કસુર થયે ફરિયાદીને કાયદાથી મળતા અધિકારો મુજબ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. જેની અંગત જવાબદારી તમારી રહેશે. ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશ હીરાણી મારફતે સાવરકુંડલા નગરપાલિકાને નોટિસ આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.