અમરેલીમા 20મી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યાં છે. અને 22મી તારીખે રાહુલ ગાંધીની સભા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પણ બંને વચ્ચે ઘુસ મારી 21મી તારીખે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અમરેલીમા મેદાનમા ઉતાર્યા છે. અમરેલી વિધાનસભા સીટ પર ત્રણ મુખ્ય પક્ષોએ એડીચોટીનુ જોર લગાવી દીધુ છે. એટલુ જ નહી આ સીટ જાણે પ્રતિષ્ઠાનો જંગ બની હોય તેમ ત્રણેય મુખ્ય પક્ષો પોતપોતાના ટોચના રાષ્ટ્રીય નેતાને અમરેલીમા મેદાનમા ઉતારી દીધા છે. આવતીકાલે 20મી તારીખે અમરેલીમા ફોરવર્ડ હાઇસ્કુલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા યોજાવાની છે.
જયારે આ જ સ્થળે 22મીએ રાહુલ ગાંધીની સભા યોજાવાની છે. દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ અમરેલીની વાટ પકડી છે અને તેઓ 21મી તારીખે અમરેલી આવી પહોંચશે. બપોરે ત્રણ કલાકે અમરેલીમા તેમનો રોડ શો યોજાશે. આમ આદમી પાર્ટીના સુત્રોએ જણાવ્યું હતુ કે ટાવર ચોકથી શરૂ થયેલી રેલી રાજકમલ થઇ નાગનાથ ચોકમા પહોંચશે. અને અહી કેજરીવાલ લોકોને પણ સંબોધન કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.