વડિયામાં ગોવર્ધન ગૌશાળા દ્વારા છેલ્લા બે વર્ષથી અનોખી પહેલ કરીને ગૌ સેવા સાથે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનુ સફળ આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે તારીખ 14ના રોજ આ લગ્નોત્સવનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા 11 નવદંપતિએ પ્રભુતામા પગલા માંડયા હતા.
વડિયાની મુખ્ય બજારમાં 11 વરરાજા સાથેનો ભવ્ય વરધોડો કાઢીને સમી સાંજે લગ્નોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ લગ્નોત્સવમાં 11 સર્વજ્ઞાતિની દીકરીઓએ ગૌ માતા, સાધુ સંતો, સામાજિક, રાજકીય આગેવાનો અને લોકોની હાજરીમા સપ્તપદીના સાત ફેરા લઈ લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ ભવ્ય લગ્નોત્સવમાં દીકરી માટે લીધેલ 100 થી પણ વધુ વસ્તુઓનો કરિયાવર અને અન્ય ખર્ચ માટે દાતાઓએ દાનની સરવાણી વહાવી હતી.
આ તમામ દાતાઓ, મહેમાનો અને સાધુ સંતોનુ ગૌશાળા વતી આયોજકો દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ. સમગ્ર કાર્યક્રમમાં પરબધામના કેતનબાપુ, મેંદરડાથી સુખરામ બાપુ, વડિયાના સર્વાંનંદબાપુ, બિલેશ્વર મહાદેવ મંદિરના વિભૂતિનાથ બાપુ, કંથડનાથ મહાદેવ મંદિરના ભરતનાથ બાપુ સહિત સાધુ સંતો ઉપરાંત જિલ્લા અને તાલુકા ભરના રાજકીય અગણીઓ ઉપસ્થિત રહી નવ દંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સેવાભાવી યુવાનો, વડીલોએ જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.