અમરેલી જિલ્લામાં ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી 10 કેન્દ્ર પર કરવામાં આવી રહી છે. પરંતુ સાવરકુંડલામાં આજે બારદાનના અભાવે ચણાની ખરીદી અટકી પડી હતી. તો અગાઉ રાજુલામાં પણ બારદાનના અભાવે સાત દિવસ સુધી ટેકાના ભાવે ચણાની ખરીદી બંધ રહી હતી.
અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે ટેકાના ભાવે ચણા ખરીદીમાં 30871 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ગુજકોમાસોલ દ્વારા અમરેલી, બાબરા, બગસરા, ધારી, ખાંભા, લાઠી, લીલીયા, રાજુલા, સાવરકુંડલા અને ટીંબી ખાતે ચણાની ખરીદી કરાઈ રહી છે. પણ આજે સાવરકુંડલા સેન્ટર પર બારદાનના અભાવે ખરીદી બંધ રાખવાની ફરજ પડી હતી. અહી સાવરકુંડલા કેન્દ્ર તરફથી જ્યા સુધી કોઈ મેસેજ ન મળે ત્યા સુધી ખેડૂતોને સેન્ટર પર ચણા ન લાવવા જણાવાયું હતું.
રાજુલા માર્કેટ યાર્ડના સુત્રોએ જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા રાજુલા સેન્ટર પર પણ બારદાન ખલાસ થઈ ગયા હતા. જેના કારણે સાત દિવસ સુધી ખરીદી બંધ રહી હતી. અત્યાર સુધીમાં ગુજકોમાસોલ દ્વારા 22414 ખેડૂતોને ચણા ખરીદી માટે એસએમએસ કર્યા છે. પરંતુ 14472 ખેડૂતો જ સેન્ટર પર ચણા ખરીદીમાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 293409 મેટ્રીક ટન ચણાની ખરીદી કરાઈ છે.
કયાં કેટલા ખેડૂતોની ખરીદી ?
તાલુકો | રજીસ્ટ્રેશન | ખરીદી |
અમરેલી | 4163 | 1547 |
બાબરા | 3685 | 1410 |
બગસરા | 3352 | 1847 |
કુંકાવાવ | 4295 | 1189 |
ધારી | 1946 | 1529 |
ખાંભા | 3248 | 1391 |
લાઠી | 1788 | 862 |
લીલીયા | 359 | 278 |
રાજુલા | 2421 | 1328 |
સાવરકુંડલા | 3992 | 2039 |
જાફરાબાદ | 1622 | 1052 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.