સમગ્ર અમરેલી જિલ્લામા આવતીકાલે હનુમાન જયંતિના પાવન પર્વની આસ્થાભેર ઉજવણી કરવામા આવશે. હનુમાન જયંતિની પુર્વ સંધ્યાએ અમરેલી પંથકમાથી મોટી સંખ્યામા પદયાત્રીઓએ પદયાત્રાનો આરંભ કર્યો હતો. પરંપરાગત રીતે યોજાતી પદયાત્રા બે વર્ષ બાદ ફરી યોજાવા જઇ રહી છે ત્યારે આજે સાંજથી જ જુદાજુદા વિસ્તારમાથી પદયાત્રીઓ ભુરખીયા તરફ રવાના થયા હતા.
પોલીસે અમરેલીમા બાયપાસ ચોકડી પરથી જ લાઠી તરફ જતા ભારે વાહનોને પ્રવેશબંધી કરી બેરીકેટસ લગાવી દીધા હતા. અમરેલીથી ભુરખીયાની વચ્ચે ઠેકઠેકાણે વિવિધ સેવા કેન્દ્રો પણ કાર્યરત થયા હતા. સ્વયંસેવકો દ્વારા પદયાત્રીઓ માટે ચા ઠંડાપીણા, શરબત,ફ્રુટ જયુશ, આઇસ્ક્રીમ વિગેરે સેવા કેન્દ્રો ધમધમતા થયા હતા.
દરમિયાન આવતીકાલે હનુમાન જયંતિ નિમીતે જિલ્લાભરમા હનુમાન મંદિરોમા આસ્થાભેર કષ્ટભંજન દેવને ભજવામા આવશે. ઠેકઠેકાણે બટુકભોજન, સંતવાણી, હનુમાન ચાલીસા તથા સુંદરકાંડના પાઠ, કિર્તન ભજન જેવા કાર્યક્રમનુ આયોજન થયુ છે. અમરેલીમા રોકડીયા હનુમાન, બાલાજી હનુમાન તથા લાલાવાવ હનુમાન સહિતના હનુમાન મંદિરોમા ભાવિકોની ભીડ ઉમટશે. ખાંભા નજીક પંચમુખી હનુમાન મંદિર ખાતે રામકથા ચાલી રહી છે. અહી મોટી સંખ્યામા ભાવિકોની ઉપસ્થિતિમા હનુમાન જયંતિ ઉજવાશે.
તાત્કાલિક હનુમાન મંદિરે ત્રિવિધ કાર્યક્રમ
સાવરકુંડલાના તાત્કાલીક હનુમાન આશ્રમ ખાતે શનિવારે હનુમાનજી મહારાજની આરતી અને મહાપ્રસાદનુ આયોજન કરાયુ છે. અહી પક્ષીઓ માટે ઉનાળામા પાણી માટેની વ્યવસ્થા અર્થે લોકોને પાણીના કુંડાનુ વિતરણ કરાશે. અને રાત્રીના સમયે જાણીતા કલાકારો દ્વારા હાસ્ય જયંતિ કાર્યક્રમ રજુ કરાશે.
હનુમાનગાળામાં ઉમટશે પાંચ હજાર ભાવિકો
ખાંભા નજીક ગીર જંગલમા આવેલ સુપ્રસિધ્ધ હનુમાનગાળાની જગ્યામા આવતીકાલે પાંચ હજારથી વધુ ભાવિકો ઉમટશે. જંગલના કાચા રસ્તે વાહનોની અવરજવર બંધ રખાશે જેથી ભાવિકોને ત્રણ કિમી પગપાળા યાત્રા કરવી પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.