અમરેલીમાં ઉત્તરાયણના પર્વ પર વિજ લાઈનમાં પતંગ અને દોરાના કારણે વિજ ફોલ્ટના બનાવો વધી જતા હોય છે. આવા સમયે શહેરમાં ઈમરજન્સીને પહોંચી વળવા માટે પીજીવીસીએલે ચાર ટીમ તૈનાત કરી છે. જુદા જુદા વિસ્તારમાં આ ટીમ કાર્યરત રહેશે.
આવતીકાલે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરાશે. આકાશ પતંગથી ઢંકાઈ જશે. પતંગ રસીયાઓ ઉત્તરાયણના દિવસે એક બીજાની પતંગ કાપવામાં મશગુલ હોય છે. પતંગ વિજલાઈનમાં ફસાઈ જવાથી વિજ સમસ્યા ઉભી થતી હોય છે. સાથે સાથે ક્યારે પતંગ કોઈના માટે જીવલેણ પણ સાબીત થાય છે. અમરેલી પીજીવીસીએલના ડેપ્યુટી ઈજનેર સી.એન. સરવૈયાએ જણાવ્યું હતું કે વિજ વાયરમાં પતંગ ફસાય હોય ત્યારે તેમને ખેંચવામાં આવે છે. જેના કારણે વિજ વાયર તુટવાની અને વિજ ફોલ્ટ સર્જાવાની ભીતી સેવાય છે.
આવા સમયે અમરેલીમાં વિજ ફોલ્ટ રીપેરીંગ અને આકસ્મીક ઘટનાને પહોંચી વળવા માટે ચાર વ્યક્તિની એક ટીમ બનાવવામાં આવી છે. ઉત્તરાયણના દિવસે અમરેલીના સેન્ટર પોઈન્ટ, પાણી દરવાજા અને હીરામોતી ચોક ખાતે વિજ તંત્રની ટીમ તૈનાત રહેશે. સાથે સાથે ફોલ્ટ સેન્ટરની ટીમ ચોવીસ કલાક કાર્યરત રહેશે. પતંગ વિજ લાઈનમાં ફસાય હોય તો તેમને કાઢવાનો પ્રયાસ ન કરવા વિજ તંત્રએ લોકોને અપીલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.