ખાંભા તાલુકાના પીપળવા ગામે શાળા તથા આંગણવાડીના રૂમો પડી ગયા હોવા છતા તંત્ર દ્વારા નવા બનાવવા કોઇ કાર્યવાહી ન થતા ગામ લોકોએ ચુંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે અને તે દર્શાવતા બેનરો ગામમા લગાવાતા તંત્ર દોડતુ થયુ છે.
ચુંટણીનો સમય છે. સામાન્ય રીતે કોઇ ગામ મતદાન ન કરવાનો નિર્ણય કરે તો રાજકીય નેતાઓએ દોડાદોડી કરવી જોઇએ. પરંતુ અહી આ નિર્ણયથી તંત્રએ દોડાદોડી કરી મુકી છે. કારણ કે તંત્ર વધુમા વધુ લોકો મતદાનમા ભાગ લે તેવા પ્રયાસો કરી રહ્યું છે. ખાંભાના પીપળવામા થોડા સમય પહેલા શાળાના ઓરડા ધરાશાયી થયા હતા.
અહી શાળામા જર્જરિત ઓરડાઓ પણ છે અને ગામમા આંગણવાડીના રૂમો પણ પડી ગયા છે. ગામ લોકો દ્વારા અહી નવા રૂમો બનાવવા વારંવાર રજુઆતો કરાઇ છે. પરંતુ તંત્રના બહેરા કાને લોકોની વાત અથડાતી નથી. રાજકીય નેતાઓ પણ મૌન બનીને બેસી ગયા છે.
જેથી ગામ લોકોએ ચુંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે અને પહેલી ડિસેમ્બરે કોઇ મતદાન કરવા નહી જાય તેવુ જાહેર કર્યુ છે. ગામ લોકોએ મતદાનના બહિષ્કારની જાહેરાતો કરતા બેનર પણ ગામમા લગાવ્યા છે. તસવીર-પૃથ્વી રાઠોડ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.