અમરેલી જિલ્લામા પાછલા કેટલાક દિવસોથી માવઠુ થઇ રહ્યું છે. જાફરાબાદ પંથકમા પણ કમોસમી વરસાદ પડયો હતો. જેના કારણે અહી માછીમારોની સુકવેલી મચ્છી પલળી જતા નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે અહી પણ સર્વે કરી માછીમારોને યોગ્ય સહાય મળે તેવી રાહમા છે.
જાફરાબાદ બંદર સરકારને કરોડો રૂપિયાનુ હુંડિયામણ રળી આપે છે. હાલમા અહીના માછીમારો કફોડી સ્થિતિમા મુકાયા છે. કારણ કે માવઠાથી અહી સુકવેલી મચ્છીઓ પલળી જતા માછીમારોને વ્યાપક નુકશાની થઇ છે. અહીના માછીમારો દુર દુર દરિયામાથી બુમલા મચ્છી મહેનતથી પકડીને લાવે છે અને તેનો નિકાસ કરે છે. મચ્છી બંદર પર લાવ્યા બાદ તેને મજુરી આપી સુકવણીની કામગીરી કરવામા આવે છે.
હાલમા જાફરાબાદ પંથકમા માવઠાની સ્થિતિ ઉભી થતા સુકવેલી મચ્છી પલળી ગઇ છે અને તેમા જીવાત પડી જતા અને મચ્છીને ફેંકવા માટે પણ મજુરી ચુકવવી પડી રહી હોય કફોડી સ્થિતિમા મુકાયા છે. જાફરાબાદમા અવારનવાર હવામાનમા બદલાવના કારણે આવી સ્થિતિ સર્જાતા માછીમારોને નુકશાની વેઠવી પડે છે.
પરત આવતી બોટના માલિકો પણ ચિંતામાં
દરમિયાન આ વિસ્તારમા હજુ પણ માવઠાની સ્થિતિ છે અને આગામી બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી છે. ત્યારે દરિયામા માછીમારી કરી પરત આવતી બોટોના માલિકો પણ મચ્છી ખરાબ થશે તેવી ચિંતામા છે.
સહાય પેકેજ જાહેર કરો: કનૈયાલાલ
જાફરાબાદ ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું હતુ કે સરકારે માછીમારોને ખેડૂત બનાવ્યા છે ત્યારે કમોસમી વરસાદથી જેવી રીતે ખેતી પાકમા થયેલા નુકશાનીનુ સર્વે કરી ખેડૂતોને સહાય ચુકવવામા આવે છે તેવી રીતે માછીમારોને પણ સહાય પેકેજ જાહેર કરી વળતર ચુકવવામા આવે તેવી માંગ કરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.