ઉત્તરાયણએ જીવદયાનું મહાપર્વ પણ ગણાય છે ત્યારે આપણા ગુજરાતમાં હાલના સમયમાં પણ વર્ષોથી કેટલીક એવી અડીખમ સંસ્થાઓ છે જે નિ:સ્વાર્થ ભાવે ગમે તેવા કપરા સમયમાં પણ જીવદયા ધર્મ નિભાવતી આવી છે. આવી જ એક સંસ્થા છે સાણંદની શેઠ આણંદજી કુશળચંદજી ખોડા ઢોર પાંજરા પોળ સંસ્થા ઈ.સ1891ની વાત છે આશરે આજ થી 100 એક વર્ષો પહેલા જયારે સમાજ શ્રેષ્ઠીઓ, નગરશેઠ, મહાજનોની બોલબાલા હતી. અને જે તે વખતે જીવદયા/માનવ સેવા/શિક્ષણ/દાન-પુણ્યના કામો પણ નિ:સ્વાર્થ પણે મોટા પાયે થતા.
આવા એક સમાજ શ્રેષ્ઠી કે નગર શેઠની હાકલથી આખો સમાજ કે આખું નગર કોઇપણ માનવતાના કાર્ય માટે એક થઇ પડખે ઉભું રહી જતું અને આવા કાર્યોને તન-મન અને ધનથી પાર પાડતું. જે હવેના સમયમાં બહુ નહિવત જોવા મળે છે. સાણંદના આવા જ એક જૈન સમાજના શ્રેષ્ઠી ચુનીલાલ પદમશીભાઈ મહેતા જેઓએ ઈ.સ ૧૮૯૧માં એટલે કે ૧૩૨ વર્ષ પહેલા સાણંદ ગામની ભાગોળે એસ.ટી સ્ટેન્ડ સામે જીવદયા માટે અબોલ, મૂંગા, નિરાધાર, રોગીષ્ઠ અને ત્યજાયેલા પશુઓ માટે “શેઠ આણંદજી કુશળચંદજી ખોડા ઢોર પાંજરા પોળ સંસ્થા” શરુ કરી વિશાળ જગ્યામાં ફેલાયેલી આ સંસ્થામાં સ્થાપના સમયે ૧૦૦ જેટલા નિરાધાર પશુઓ હતા.
જેઓની સાર, સંભાળ દેખભાળ કરવામાં આવતી, સમય જતા સંસ્થામાં ત્યજાયેલા, કતલખાને જતા બચાવેલા, અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ, બિનવારસી ત્યજી દેવાયેલા પશુઓને આ સંસ્થામાં આશ્રય આપવામાં આવતો ધીરે ધીરે અહીં નિરાધાર પશુઓની સંખ્યા વધતી ગઈ હાલ અહીં આશરે ૧૦૮૦ નિરાધાર પશુઓની ૧૫ લોકોના સ્ટાફ દ્વારા સુંદર દેખભાળ કરવામાં આવે છે. દેખભાળનો તથા નીરણનો દૈનિક 80 હજાર જેટલો ખર્ચ આ મોંઘવારીમાં થાય છે. આ સંસ્થામાં સાણંદના સમાજશ્રેષ્ઠીઓ, જૈનસમાજના સાધુ ભગવંતો, નામી અનામી દાતાઓનું દાન મળતું રહે છે. ખાસ કરીને ઘાસચારા માટે સાણંદ તાલુકાના ખેડૂતોનો સુંદર સહયોગ સાંપડે છે. આ સંસ્થામાં ઘાયલ પક્ષીઓને પણ સારવાર આપવમાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.