કુલ રૂ. 12 લાખનો મિલકત વેરો ભરવામાં લાલિયાવાડી કરનારા 8 વેપારીની મિલકત સાણંદ નગરપાલિકાએ સીલ કરી છે. પાલિકાએ જીઈબી સાણંદ ગ્રીન 2માં આવેલી 2 દુકાનો, એકલિંગજી રોડ પરના આકાર આર્કેડમાં 1 દુકાન, બાવળા રોડ ઉપરના નવ દુર્ગા શોપિંગ સેન્ટરની 1 દુકાન તેમજ બસ સ્ટેશન નજીક આવેલા હરે કૃષ્ણ કોમ્પ્લેક્સની 2 દુકાનો મળી કુલ 8 દુકાનો સીલ કરી હતી.
શહેરના રહેણાક અને કોમર્શિયલ પ્રોપર્ટીધારકો અંદાજે 4216 લોકો પાસેથી અગાઉના અને ચાલુ વર્ષના વિવિધ વેરા પેટે કુલ રૂ. 2.95 કરોડ બાકી છે. જેમાં પાલિકાના કર્મીઓએ ડોર ટુ ડોર વેરા વસૂલાત હાથ ધરી હતી. તેમ છતાં પણ ટેક્સ ન ભરતા 4000 જેટલા ને નોટિસ અને વોરંટ પાઠવાયા હતા. તેમજ પાણી કનેક્શન કાપની કાર્યવાહી પણ કરાઈ પરંતુ કોઈ અસર ના થતા બાકીદારોની મિલકતો સીલ કરવાનું શરુ કર્યું છે.
સાણંદમાં ટેક્સ ભરવા માટે પાલિકાની ઓફિસના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. સવારે 9થી સાંજે 6 કલાક સુધી સમય લંબાવાયો છે. તેમજ શનિવારે આવતી રજાના દિવસે પણ ટેક્સ ઓફિસ ચાલુ રાખવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.