સમાજમાં દહેજનું દૂષણ હવે હદ વટાવી રહ્યું છે. દહેજની માંગણીને કારણે સંસાર પડી ભાગવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. અમદાવાદના અસારવાની મહિલાનો લગ્નના 13 વર્ષમાં સંસાર પડી ભાંગ્યો હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહિલાએ દિકરીને જન્મ આપ્યા બાદ સાસરીયા દ્વારા મારઝૂડ કરવામાં આવતી હતી. તે ઉપરાંત રૂપિયા તથા દાગીનાની માંગણી કરીને તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. છેલ્લા ચાર મહિનાથી મહિલા પોતાની દિકરી સાથે પિયરમાં રહે છે.
સાસરિયાઓ મહેણા મારીને મારઝૂડ કરતા હતા
આ બનાવ અંગે શહેર કોટડા પોલીસે પતિ સહિત પરિવારના ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની વિગત એવી છે કે 30 વર્ષની ઉંમરે મહિલાના લગ્ન થઈ ગયાં હતાં. સમાજના રીત રિવાજ પ્રમાણે તેના લગ્ન થયાં હતાં. લગ્નના બે વર્ષ સુધી તેને સાસરીયાઓ દ્વારા સારી રીતે રાખવામાં આવતી હતી. ત્યાર બાદ દિકરીનો જન્મ થતાં પતિ સહિતના સાસરિયાઓ નારાજ થયાં હતાં. સાસરિયાઓ મહિલાને નાની નાની વાતોમાં તકરાર કરીને મહેણા મારીને મારઝૂડ કરતા હતા અને અવાર નવાર કાઢી મૂકતા હતા.
શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં સાસરિયાઓ સામે ફરિયાદ
જો કે મહિલા સંસાર બચાવવા માટે સમાધાન કરીને પરત આવતી હતી. સાસરિયા અને પતિએ ચાર મહિના પહેલા કહ્યું કે શાંતિથી આ ઘરમાં રહેવું હોય તો પિયરમાંથી રૂપિયા અને દાગીના લાવીને આપવા પડશે. જ્યારે આ બાબતે મહિલાએ દલીલ કરી તો તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યારબાદ પણ મહિલાને એવું કહેવાતું કે, રૂપિયા લીધા વગર આવીશ તો મારી નાખીશું. જેથી કંટાળેલી મહિલાએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.