ઉનાળામાં અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં અપૂરતા પ્રેશરના કારણે ઓછું પાણી આવે છે. તો ક્યાંક પાણી ન હોવાના કારણે ટેન્કર મંગાવવાની ફરજ પડે છે. ત્યારે શહેરમાં ખાનગી એજન્સીઓને કંપની દ્વારા કામગીરી માટે બેફામ જોયા વગર ખોદાણ કરવાની પરમિશન આપી દેવામાં આવતાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયુ છે. અમદાવાદના જશોદાનગર ચાર રસ્તા પર આજે વહેલી સવારે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લિટર પાણી રોડ પર વહી ગયું હતું. ખાનગી ટોરેન્ટ કંપની દ્વારા ખોદકામ કરી અને કામગીરી કરવામાં આવતી હતી તે દરમિયાન આ ભંગાણ સર્જાયું છે.
અડધો કિલોમીટર દૂર સુધી પાણીનો રેલો પહોંચ્યો
મળતી માહિતી મુજબ વટવા GIDC થી જશોદાનગર આવતા માર્ગ પર ઈન્દુલાલ યાજ્ઞિક ઓવરબ્રિજની બાજુમાં PF સ્કુલના ગેટ નજીક પીવાના પાણીની પાઈપલાઈનમા આજે સવારે 6 વાગ્યે પાણીનો સપ્લાય શરૂ થતાની સાથે જ ઉંચા ફુવારાઓ ઉડીને પાણી રોડ પર વહેવા લાગ્યું હતું. અડધો કિલોમીટર જશોદાનગર GIDC પોલીસ ચોકીથી ફાયરબ્રિગેડ થઈને કેનાલ નજીકની ગટર લાઈન સુધી તેનો રેલો ગયો હતો. લાખો લીટર પીવાના પાણીનો વેડફાટ થતા જશોદાનગર સર્કલ પાણી પાણી થઈ ગયું હતું.
બે કલાક સુધી રોડ પર પીવાનું પાણી વેડફાતું રહ્યું
જશોદાનગર સર્કલથી નજીક વિશાળ પાણીની ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી અને ઓફિસ આવેલી હોવા છતા સવારે આઠ વાગ્યા સુધી પણ વોટર એન્ડ સુએજ ખાતાના કોઈ અધિકારી કે કર્મચારીઓ પાણીના બગાડને અટકાવવા માટે ફરક્યા પણ ન હતાં એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીનું અપુરતું પ્રેશર આવતું હોવાની ફરિયાદો વચ્ચે વોટર ખાતાની અને ખાનગી ટોરેન્ટ કંપનીની બેદરકારીને લીધે લાખો લીટર પીવાનું ચોખ્ખું પાણી સીધું જ ગટરમાં વેડફાઈ જતા નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.