6 નગરપાલિકાના વિવિધ પ્રોજેક્ટસને મંજૂરી:પાણી પૂરવઠાના વિવિધ 64 કરોડના કામો મંજૂર, ભૂગર્ભ ગટર તથા તળાવોના નવિનીકરણ માટે 93 કરોડની ફાળવણી

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા રાજ્યની છ નગરપાલિકાઓમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે રૂપિયા 64.91 કરોડ સહિત વિવિધ વિકાસ કામો માટે કુલ રૂપિયા 93.10 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન અમૃત-2.0 પ્રોજેક્ટની સ્ટેટ લેવલ ટેક્નિકલ કમિટીની ગાંધીનગરમાં મળેલી બેઠકમાં આ કામો મંજૂર કરવામાં આવ્યા હતા.

તળાવ નવિનીકરણ માટે 22.15 કરોડ મંજૂર કરાયા
GUDM દ્વારા આ બેઠકમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે રૂપિયા 64.91 કરોડ, તળાવ નવિનીકરણ માટે રૂપિયા 22.15 કરોડ અને ભુગર્ભ ગટરના 1 પ્રોજેક્ટ માટે રૂપિયા 6.04 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારે પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે જે નગરપાલિકાઓને અનુમતિ આપવામાં આવી છે. તેમાં દહેગામ નગરપાલિકાને રૂપિયા 12.59 કરોડ 5400 ઘર જોડાણથી અંદાજે 27 હજાર લાભાર્થીઓને આવરી લેવા માટે ફાળવાશે. આંકલાવમાં 562 ઘર જોડાણ અને 2810 જનસંખ્યાને રૂપિયા 19.56 કરોડના ખર્ચે થનારા પાણી પૂરવઠા પ્રોજેક્ટનો લાભ મળશે. ગોધરા નગરપાલિકામાં રૂપિયા 8.06 કરોડના ખર્ચે બે ફેઇઝમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટ હાથ ધરાશે અને 500 ઘર જોડાણથી 2500 લોકોને લાભ થશે.

વિવિધ નગરપાલિકાઓ માટે કરોડોના મંજૂર થયા
અમરેલી જિલ્લાની લાઠી નગરપાલિકા વિસ્તારના 200 ઘર જોડાણોથી 1 હજાર લોકોને ઘરે પાણી મળશે અને આ પ્રોજેક્ટ માટે રૂપિયા 5.48 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. વલસાડ નગરના અબ્રામા અને મોગરાવાડી વિસ્તારના 7269 આવાસોને ઘર જોડાણથી આવરી લઇ 73804ની જનસંખ્યાને પાણી પહોંચાડવા રૂપિયા 8.30 કરોડનો પ્રોજેક્ટ આ બેઠકમાં મંજૂર થયો છે. એટલું જ નહીં, વલસાડ નગરમાં ભુગર્ભ ગટર પ્રોજેક્ટ માટે રૂપિયા 6.04 કરોડ મંજૂર થયા છે. આ પ્રોજેક્ટના પરિણામે 1690 ઘર જોડાણોથી 8449 લોકોને ભુગર્ભ ગટરનો લાભ મળતો થશે. માંડવી નગરપાલિકાના પાણી પૂરવઠા પ્રોજેક્ટ માટે રૂપિયા 10.92 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટમાં 403 ઘર જોડાણો અને 2015 લાભાર્થીઓને લાભ મળવાનો છે.

1.09 લાખ લોકોને વિવિધ પ્રોજેક્ટસનો લાભ મળશે
સમગ્રતયા આ 6 નગરપાલિકાઓમાં 14334 ઘર જોડાણોથી 1 લાખ 9 હજાર 129 લોકો લાભાન્વિત થશે. ત્યારે GUDMની આ બેઠકમાં ખંભાત, વલસાડ અને આમોદના તળાવોના નવિનીકરણના કુલ રૂપિયા 22.15 કરોડના પ્રોજેક્ટસ મંજૂર થયા છે. તદઅનુસાર, વલસાડમાં તળાવ નવિનીકરણ માટે રૂપિયા 6.76 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. તળાવ નવિનીકરણનો વ્યાપક લાભ અંદાજે 2 લાખ 8 હજાર 678 લોકોને મળશે. ખંભાતમાં આવા તળાવ નવિનીકરણ માટે રૂપિયા 8.79 કરોડ અને આમોદ માટે રૂપિયા 6.60 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. તળાવ નવિનીકરણનો ખંભાતમાં 1 લાખ 17 હજારને અને આમોદમાં 19747 લોકોને લાભ મળતો થશે.

અન્ય સમાચારો પણ છે...