રાજ્યમાં 15 ઓક્ટોબરથી કોરોનાની ગાઈડલાઈન મુજબ મલ્ટીપ્લેક્સ અને સિંગલ સ્ક્રિન થિયેટરો શરૂ કરવા કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે પરંતુ અમદાવાદ-સુરત અને અન્ય નાના શહેરોમાં આવતીકાલ એટલે ગુરુવારથી મલ્ટીપ્લેક્સ અને થિયેટર શરૂ નહીં થાય. જ્યારે શુક્રવારથી સિંગલ સ્ક્રીન શરૂ કરવામાં આવશે. સિંગલ સ્ક્રીનમાં પણ માત્ર ચાર જ શો બતાવવામાં આવશે. તેમાં પણ માત્ર ગુજરાતી ફિલ્મો બતાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ લોકડાઉનના 7 મહિના બાદ પહેલીવાર ગુજરાતમાં મલ્ટીપ્લેક્સ અને સિંગલ સ્ક્રિન થિયેટરો શરૂ તો થશે. પરંતુ તેમાં હિન્દી ફિલ્મોની જગ્યાએ માત્ર ગુજરાતી ફિલ્મો જ બતાવવામાં આવશે. PVR, હિમાલયા મોલમાં આવેલું BIG સિનેમા, સિનેપોલિસ સહિતના થિયેટરો શરૂ થશે નહીં.
હાલમાં હિન્દી ફિલ્મો બતાવવી કે કેમ તે મામલે ચર્ચા-વિચારણા બાદ નિર્ણય
શુક્રવારથી વાઈડ વાઈડ એેંગલ મલ્ટીપ્લેક્સ શરૂ કરવામાં આવશે. જેમાં હાલ સિંગલ સ્ક્રીનમાં હાલ ગુજરાતી ફિલ્મો બતાવવામાં આવશે. વાઈડ એંગલના માલિક રાકેશભાઈ પટેલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આવતીકાલ શુક્રવારથી SOP મુજબ સિંગલ સ્ક્રીનમાં અલગ અલગ શોમાં 6 અલગ ગુજરાતી ફિલ્મો બતાવીશું. હિન્દી ફિલ્મોમાં હજી નક્કી નથી કરી. ફિલ્મોની ડાઉનલોડની ઉપરાંત અન્ય કોસ્ટ ખૂબ જ મોંઘી પડી રહી છે જેથી હાલમાં હિન્દી ફિલ્મો બતાવવી કે કેમ તે મામલે ચર્ચા ચાલી રહી છે.
રાજ્યના મોટા ભાગના શહેરોમાં શુક્ર કે શનિવારે મલ્ટીપ્લેક્સ શરૂ થઈ શકે
PVR સિનેમાના એરિયા મેનેજર DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે અત્યારે મલ્ટીપ્લેક્સની સાફ-સફાઇ, સેનેટાઇઝેશન અને SOP અનુસારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેના કારણે આવતીકાલથી મલ્ટીપ્લેક્સ શરૂ કરવામાં નહીં આવે. કદાચ શુક્રવાર અથવા શનિવારે શરૂ થઈ શકે છે.
‘ચાલ જીવી લઈએ’, ‘લવની ભવાઈ’ અને ‘છેલ્લો દિવસ’ જેવી ફિલ્મો બતાવાશે
16મી ઓક્ટોબરથી વાઈડ એેંગલમાં ગુજરાતી ફિલ્મો ‘ચાલ જીવી લઈએ’, ‘લવની ભવાઈ’, ગોળ- કેરી’, ‘છેલ્લો દિવસ’, ‘કરશનદાસ પે એન્ડ યુઝ’, ‘ચાસણી’ જેવી ફિલ્મો બતાવાશે. આજથી મલ્ટીપ્લેક્સમાં સેનેટાઇઝ અને સોશિયલ ડિસ્ટન્સ માર્કિંગની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. SOP મુજબ દરેકને થિયેટરમાં પ્રવેશ આપવામાં આવશે. ઓનલાઇન બુકિંગની જ વ્યવસ્થા કરવામાં આવશે.
રાજકોટના આઈનોક્સમાં પોણા ત્રણે ‘ચાલ મન જીતવા જઈએ’
જ્યારે રાજકોટની વાત કરીએ તો આઈનોકસ(રિલાયન્સ મોલ)માં બપોરે પોણા ત્રણ વાગ્યે શો શરૂ થશે. જેમાં ગુજરાતી ફિલ્મ ચાલ મન જીતવા જઈએ બતાવવામાં આવશે. શહેરમાં માત્ર આ એક જ સિનેમાઘર શરૂ થશે.
બે શો વચ્ચે અડધા કલાકનો બ્રેક જરૂરી બનશે
કેન્દ્ર સરકાર દ્વારા જે નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે, એમાં બે શોની વચ્ચે ભાગ્યે જ કોઈ સમય હોય છે અથવા તો પાંચ કે 10 મિનિટનો સમય હોય છે, એને બદલે હવે ઓછામાં ઓછો અડધો કલાકનો સમય જરૂરી બનશે. બે શો વચ્ચે સંપૂર્ણ સિનેમાઘરને સેનિટાઈઝ કરવાનું ફરજિયાત બનાવાયું છે. ઉપરાંત એક શો પૂરો થયા બાદ દરેક રોમાં બેસેલા લોકોને ક્રમ અનુસાર જ બહાર જવાની છૂટ આપવામાં આવશે અને એ રીતે સિનેમા શો પૂરો થયા બાદનો સમય વધી જશે.
બુકિંગ માટે પ્રેક્ષકના મોબાઈલ નંબર ફરજિયાત
સમોસાં અને કોલ્ડ્રિંક્સની જે સેવા આપવામાં આવતી હતી એ હવે આપી શકાશે નહીં. દરેક બુકિંગમાં રેલવેની જેમ પ્રેક્ષકના મોબાઈલ નંબર લેવા ફરજિયાત થઈ પડશે, જેના કારણે બુકિંગનો ટાઈમ પણ વધશે. સિંગલ સ્ક્રીન થિયેટરોમાં બુકિંગ માટે વધુ વિન્ડો ખોલવી પડે તેવી શક્યતા છે. એસીને 24થી 30 ડિગ્રી પર રાખી શકાશે.
એસીનું તાપમાન 24થી 30 ડિગ્રી પર રખાશે, અગાઉ 22 ડિગ્રી રખાતું
સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે એસીનું તાપમાન 24થી 30 ડિગ્રી પર રાખવામાં આવશે. અગાઉ સિનેમાહોલમાં એસીનું તાપમાન 22 ડિગ્રી પર રાખવામાં આવતું હતું. એર ફીલ્ટરેશન સિસ્ટમને પણ વધારે સારી કરવામાં આવશે. માસ્ક અને ગ્લોવ્ઝ ડિસ્પોઝ કરવા માટે ડસ્ટબિન મૂકવામાં આવશે. માસ્ક પહેરીને નહીં આવેલા પ્રેક્ષકો માટે માસ્ક ખરિદવાની સુવાધા પણ ઉપબલ્ધ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.