સહાય:પ્રાકૃતિક ખેતી કરવા એક ગાય દીઠ મહિને રૂ. 900 નિભાવ ખર્ચ મળશે

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાકૃતિક કૃષિ મારફત ખેડૂતોની આવક ડબલ કરવાનો સરકારનો નિર્ધાર
  • લાભ લેવા માગતા ખેડૂતે ‘આઇ ખેડૂત’ પોર્ટલ પર અરજી કરવાની રહેશે

રાજ્ય સરકાર દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવા માટે ખેડૂતોને એક ગાય માટે નિભાવ ખર્ચ પેટે દર મહિને રૂ. 900ની એટલે કે વાર્ષિક મહત્તમ રૂ. 10,800ની કરવાની સરકારે તૈયારી દર્શાવી છે.  આ સહાય મેળવવા માટે ખેડૂતોએ ‘આઇ ખેડૂત’ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. જે ખેડૂતની રકમ મંજૂર કરાશે તેને પ્રથમ ત્રિમાસિક સહાય રૂ. 2700 લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં આરટીજીએસ-ડીબીટીથી જમા કરાવાશે તેવો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધો છે.

ઉલ્લેખનીય છે કે,લાભ દેશી ગાય ધરાવનારને જ મળશે, જર્સી અને વિદેશી ગાય ધરાવનારને નહીં.   ખેડૂતોને અરજીની મંજૂરીની તારીખથી જે તે ત્રિમાસિકના ઉપલબ્ધ ગાળામાં એપ્રિલ થી જૂનના ત્રિમાસિકનો નિભાવ ખર્ચ જુલાઈ માસમાં, જુલાઈથી સપ્ટેમ્બર ત્રિમાસિકનો નિભાવ ખર્ચ ઓક્ટોબરમાં, ઓક્ટોબરથી ડિસેમ્બરનો ત્રિમાસિક નિભાવ ખર્ચ જાન્યુઆરીમાં અને જાન્યુઆરીથી માર્ચનો ત્રિમાસિક નિભાવ ખર્ચ એપ્રિલમાં ચૂકવાશે. અરજીની મંજૂરી તારીખથી જે તે ત્રિમાસિકના ઉપલબ્ધ સમયગાળા માટે માસિક રૂ. 900 લેખે નિભાવ ખર્ચ ચૂકવાશે. 

કોને લાભ મળી શકે
આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા ખેડૂત લાભાર્થીની પાત્રતા જોઈએ તો, અરજદાર ખેડૂત અરજીના સમયે આઇડેન્ટિફિકેશન ટેગ સહિતની એક દેશી ગાય ધરાવતો હોવો જોઇએ અને તેના છાણ મૂત્રથી પ્રાકૃતિક ખેતી કરતો હોવો જોઈશે અથવા જ્યારે પ્રાકૃતિક ખેતી કરતા થશે ત્યાર પછી લાભ મળવાપાત્ર થશે. હાલ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો તથા પ્રાકૃતિક કૃષિની તાલીમ બાદ તૈયાર થયેલ માસ્ટર ટ્રેનર, જો પાત્રતાની શરતો પૂર્ણ કરે તો મંજૂરીમાં તેઓને પ્રાથમિકતા અપાશે.