હોળીકા દહનની તીથિને લઈને હતી અસંમજસની સ્થિતિ
રાજ્યમાં હોલિકા દહનની તીથિને લઈને લોકોમાં થોડી મૂંજવણ હતી.સામાન્ય રીતે હોળી ફાગળ સુદ પૂર્ણિમાને દિવસે પ્રગટાવવામાં આવે છે. પરંતુ આ વખતે તારીખ 6 અને 7 માર્ચે પૂનમ છે. જેમા ફાગણ સુદ પૂર્ણિમા 7 માર્ચે બપોરે પૂર્ણ થઇ જાય છે. ત્યારે ભક્તોની અસમંજસને ધ્યાને લઇને તીર્થધામ વડતાલધામના મુખ્ય કોઠારી ડૉ.સંત સ્વામીએ જણાવ્યુ હતુ કે વડતાલ ધામ અને તેની સાથે જોડાયેલા મંદિરોમાં ગ્રહ નક્ષત્રના આધારે 6 માર્ચે સાંજે હોલિકા દહન કરવામાં આવશે. તથા 7 માર્ચે ધૂળેટી પર્વની ઉજવણી થશે અને 8 માર્ચે ફૂલડોલનો ઉત્સવ ઉજવવામાં આવશે.યાત્રાધામ ડાકોર, દ્વારકા, સોમનાથ, ચોટીલામાં આજે હોલિકાદહન થશે, આજે સાંજે 6:54 પછી હોલિકા દહન કરી શકાશે. સોમનાથ મંદીર પરિસરમાં 7:45એ હોળીકા દહન કરાશે. અમદાવાદના જગન્નાથ મંદિર સહિત રાજ્યમાં અનેક સ્થળે મંગળવારે પણ હોલિકાદહન થશે. શાસ્ત્રોના જાણકારોના મતે ફાગળ માસની પુનમ આજે સાંજે 4:18થી શરૂ થઈને આવતીકાલે 6:11 કલાકે પૂર્ણ થશે.
મેટ્રો સ્ટેશન પર મળશે નાસ્તો
અમદાવાદીઓ માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે.અમદાવાદ મેટ્રો સ્ટેશન પર હવે મુસાફરો નાસ્તાની જ્યાફત માણી શકશે. અમદાવાદ મેટ્રો રેલ સ્ટેશનમાં ખાણી-પીણીના સ્ટોલ શરૂ કરવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. મેટ્રોના તમામ 32 સ્ટેશનમાં ફુડ કોર્ટ માટે ટેન્ડર બહાર પાડવામાં કરવામાં આવી રહી છે.દિલ્લીની જેમ અમદાવાદના મેટ્રો રેલ સ્ટેશનમાં પણ ફૂડ કોર્ટની સુવિધાનો ઉમેરો કરવામાં આવશે. ફૂ઼ડ સ્ટોલમાં ચા-કોફી-કોલ્ડ્રિન્કસ તેમજ હળવો નાસ્તો મળી રહેશે. જોકે ખાણી-પીણીની ચીજવસ્તુઓ મેટ્રોમાં લઈ જવાની મંજૂરી આપવામાં નહીં આવે.
પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ
પીએમ મોદી 8-9 માર્ચે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 8 માર્ચે રાત્રે 8 કલાકે અમદાવાદ પીએમ મોદી અમદાવાદ આવશે. ગાંધીનગરમાં રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. 9 માર્ચે સવારે 8 કલાકે પીએમ મોદી અમદાવાદ આવવા રવાના થશે. અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમ તેઓ ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે ટેસ્ટ મેચ નિહાળશે. 10 વાગે પીએમ મોદી ગાંધીનગર જવા રવાના થશે. જ્યાં બપોરે 2 વાગ્યા સુધી રાજભવનમાં રોકાશે અને 2 વાગ્યા બાદ દિલ્લી જવા રવાના થશે.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 માર્ચથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ રમાશે. બંને પીએમ ટોસ સમયે મેદાનમાં જોવા મળે અને કોમેન્ટરી કરે તેવી શક્યતા છે.
દર્શન રાવલના કોન્સર્ટમાં અફરાતફરી
વડોદરા શહેરની એમ. એસ. યુનિવર્સિટીની ટેક્નોલોજી ફેકલ્ટીની ફૂટપ્રિન્ટ ઇવેન્ટમાં પાસનાં કાળાં બજાર થવાને કારણે ઓવરક્રાઉડ થતાં ધક્કામુક્કીમાં ગૂંગળામણને કારણે 30થી વધુ વિદ્યાર્થીઓ બેભાન થઈ ગયા હતા, જેમને તાબડતોબ પ્રાથમિક સારવાર આપવી પડી હતી. 15થી 20 વિદ્યાર્થીઓને તેમના ઘરે છોડવા યુનિવર્સિટીની ગાડીનો ઉપયોગ કર્યો હોવાનું વિજિલન્સના અધિકારીએ જણાવ્યું હતું. દર્શન રાવલના કાર્યક્રમ માટે 6 વાગ્યે પહોંચી ગયેલા વિદ્યાર્થીઓ માટે ગેટ ખોલાયો નહોતો. એમાં ધક્કામુક્કીને પગલે વિદ્યાર્થીઓના બૂટ-ચંપલ ખોવાઈ ગયાં હતાં. કેટલાક વિદ્યાર્થીને ઇજા પહોંચતાં વિદ્યાર્થી નેતાએ ગેટ પર ચઢી જઈને ગેટ ખોલાવ્યો હતો.
ટોલનાકા પર બબાલની ઘટના CCTVમાં થઈ કેદ
દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયા પાસે આવેલા ટોલ નાકા પર બબાલ થઈ છે. વાહનમાં સવાર 20થી વધુ લોકોએ મહિલા કર્મી પર પણ હુમલો કર્યો છે. જે હુમલામાં 3 કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ટોલનાકા પર બબાલની ઘટના CCTVમાં કેદ થઈ છે. વીસથી વધુ વ્યક્તિઓ દ્વારા મારામારી કરતા ટોલનાકાના ત્રણ કર્મચારીઓ ઘાયલ થયા હતા.ખંભાળિયા પાસે આવેલા ટોલનાકા પર બબાલ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યાં હતા તેમજ આ સમગ્ર ઘટના સીસીટીવીમાં જોતા જાણી શકાય છે કે, લાકડી વડે હુમલો કરાયો હોવાનુ પણ જણાઈ આવે છે.
સાત શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો
સુરેન્દ્રનગરમાં કાયદાના લીરા ઉડાવતો એક બનાવ સામે આવ્યો છે. શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં એક યુવકને સામાન્ય બાબતે સાત શખ્સોએ ધોકા અને પથ્થરોથી ઢોર માર માર્યાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે આ મામલે સાત શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો હુમલામાં ઘવાયેલા યુવકને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.જે બનાવ બન્યો છે તેનો વીડિયો જોઈએ તો લાગે કે માથાકૂટ પાછળ કોઈ ગંભીર બાબત જવાબદાર હશે. પરંતુ, આ બનાવમાં 'સામું કેમ જુએ છે?' તેવી સામાન્ય બાબતે જ ભોગ બનનાર અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હોવાનું સામે આવ્યું છે. ફરિયાદ સમીર મામાણીને આરોપીઓએ સામે કેમ જુએ છે તેમ કહી સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં મારામારી કરી હતી. સમીર મામાણીને નીચે પાડી દઈ આરોપીઓ ધોકા લઈ તૂટી પડ્યા હતા. તો બીજા શખ્સો મોટા પથ્થરો લઈ માર્યા હતા.
એક ટ્રકમાં ડ્રાઇવર-કંડક્ટર ચગદાઈ ગયા
પાટણના રાધનપુર-સાંતલપુર હાઈવે ઉપર પીપરાળા ગામ નજીક સોમવારે વહેલી સવારે એક ટ્રકના ડ્રાઇવરે બેદરકારી દાખવી રોડની વચ્ચોવચ્ચ અચાનક બ્રેક મારતાં પાછળ આવતી બંને ટ્રક એક પછી એક એમ ઘૂસી ગઈ હતી, જેમાં છેલ્લી ટ્રક જે કચ્છ તરફથી આવતી હતી, જેનાં ડ્રાઇવર-કંડક્ટરનાં મોત થયા છે. વચ્ચેની ટ્રકના ડ્રાઇવર-કંડક્ટર ઇજગ્રસ્ત થયા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ત્રણેય ટ્રકના ભુક્કા બોલી ગયા હતા. ઘટનાને પગલે લોકોનાં ટોળા એકત્ર થયા હતા. જ્યારે ક્રેનની મદદથી ટ્રેકોને એકબીજાથી દૂર કરી બન્ને મૃત મૃતદેહ બહાર કાઢીને પોલીસે પીએમ અર્થે ખસેડ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.