જીએસટી વિભાગે તાજેતરમાં વિવિધ કારણોસર કરદાતાઓને નોટિસ ફટકારી હતી. કરદાતાએ આ નોટિસને આધારે જવાબ આપવાના હતા. પરંતુ વિભાગે તેમના બેન્ક ખાતાં ટાંચમાં લેવાની કાર્યવાહી હાથ ધરી છે. કરદાતાને જવાબ આપવા માટે પૂરતો સમય પણ આપવામાં આવ્યો નહીં હોવાની ફરિયાદો છે.
બેન્ક ખાતાં ટાંચમાં લેવાની કાર્યવાહી હાથ ધરી
કરદાતાના બેન્ક ખાતાં પર ટાંચ આવતાં તેમના આર્થિક વ્યવહારો બંધ થઈ ગયા છે. કેટલાક વેપારીઓએ જણાવ્યું હતું કે, નોટિસનો જવાબ મોકલવામાં આવે તે પહેલાં જ બેન્ક એકાઉન્ટ ટાંચમાં લેવાઈ ગયા હતા. તેમનું કહેવું છે કે, જીએસટી વિભાગે 31 માર્ચ પહેલાં ટાર્ગેટ પૂરો કરવાનો હોવાથી મોટાપાયે ડિમાન્ડ નોટિસો કાઢવામાં આવી હતી અને ટેક્સની રકમની ભરી દેવાની તાકીદ કરવામાં આવી છે.
બેન્ક ખાતાં ટાંચમાં લેવાનું શરૂ કરી દીધું
31 માર્ચ આડે ઓછો સમય બાકી હોવાથી વિભાગે ટેક્સની વસૂલાત માટે બેન્ક ખાતાં ટાંચમાં લેવાનું શરૂ કરી દીધું છે. બેન્ક ખાતાં ટાંચમાં લેવાતા વેપારીઓએ ના છૂટકે નોટિસમાં ડિમાન્ડ કરવામાં આવેલી રકમ ભરી દે છે. ઘણી વખત તો જીએસટી વિભાગ નોટિસના ખુલાસાની પણ રાહ જોતો નથી. આને કારણે વેપારીઓના આર્થિક વ્યવહાર ખોરવાઈ જવા ઉપરાંત વ્યવસાયને પણ અસર થાય છે. વેપારીઓએ જીએસટી વિભાગની એક તરફી કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.