તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ટી.વી. કે છાપાઓમાં આવતા કોરોનાના આંકડા હવે ધ્રુજાવી રહ્યા છે. આપણે ડર્યા તો ગયા વર્ષે પણ હતા, પણ આ વખતનો ડર ખૌફનાક છે. એક વર્ષમાં તો ઘણું બધું શીખી ગયા કે, કોરોનાથી બચવાનો કોઈ ઉપાય શોધાયો નથી. આજ સુધી બચી ગયા છીએ, એમાં આપણી કોઈ કમાલ નથી, સિવાય કે કોરોના સામેના શસ્ત્રો સમયસર વાપર્યા હોય અને એ કમાલો હજી જીવીએ ત્યાં સુધી ચાલુ રાખીએ, તો શક્ય છે, કોરોના આપણને નહિ આભડે!
કોરોનાને રોકવાના વિશ્વભરમાં બે જ ઉપાયો છે - એક માસ્ક અને બીજી વેક્સીન. પેટા ઉપાયો જોઈએ તો કુલ ત્રણ-ચાર કહી શકાય. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, નિયમિત હેન્ડવૉશ અને આ બધું પાળે નહીં એને રાજ્ય સરકાર આકરી સજા આપે. ઘરમાં ને ઘરમાં પડ્યાં રહેવાનું હરકોઈ માટે શક્ય નથી, પણ બહાર નીકળો તો ધ્યાન આપણે રાખીએ, આપણી આજુબાજુવાળાઓ ન રાખે તો ય ખતરો એટલો જ છે. આજ સુધી તો દૂરથી કોઈ વગર માસ્કે આવતો હોય તો આપણે સાઈડમાંથી નીકળી જતાં હતાં, એ જાણ્યા વગર કે, ઉઘાડા મોંઢે એ કોરોનાના અગણિત જીવાણુઓ છોડતો ગયો છે અને આપણે લપેટમાં આવી શકીએ છીએ.
વગર માસ્કે હજાર રૂપિયાનો દંડ ગુજરાતીઓ ઘોળીને પી ગયા છે, સોશિયલ ડિસ્ટન્સનો તો અર્થે ય જાણમાં ન હોય ત્યાં એ રાખવાનું કોણ શીખવાડે? પણ આ તો પ્રજાની વાત થઈ, જેમાં શિક્ષિતો કે અલ્પશિક્ષિતો પાસે કોરોનાને નાથવાના શસ્ત્રોની અપેક્ષા રાખી શકાય, પણ સવાલ એ છે કે, રાજ્ય સરકાર પાસે શું ઈચ્છી શકાય? એ લોકો તો ગાઈ-વગાડીને કહે છે કે, ‘અમે પૂરતી તકેદારી રાખીએ છીએ.’ ઓહ! તકેદારીઓનો અનુવાદ અમલમાં થતો હોય તો પ્રજાને કોરોનાનો ખૌફ કેટલો બધો ઉતરી જાય? આજે રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, 90 ટકા પ્રજામત એની પાસે છે અને કાયદાને અમલી બનાવવા એમને કોઈ રોકી શકે એમ નથી, તો પછી પ્રજાની ફેવરમાં હજી સુધી રિઝલ્ટ કેમ આવતું નથી? પ્રજા તમારૂં સાંભળતી કેમ નથી? પ્રજાને બચાવવાની જ છે, તો આકરા પગલાં ભરતા ડર કોનો લાગે છે? આ એક એવો વિષય છે, જેમાં વિપક્ષો ય વાંધા ઊભા ન કરે.
ગુજરાતીમાં કહેવત છે કે, ‘ભય વિના પ્રીતિ નહિ’! તો પછી ભય પમાડો તો ખરા. માસ્ક પણ હજાર-હજાર રૂપિયાના ભયને કારણે લોકો પહેરતા થયા, તો બીજા અનેક જાહેર સ્થળો છે, જ્યાં કડક હાથે કામ લઈ શકાય. ગાર્ડન કે રેસ્ટોરાંમાં માસ્ક વગર દાખલ થનારને ઉપાડી લો. સરકારી ઓફિસોમાં આગંતુકો જ નહીં, સ્ટાફને પણ માસ્ક વિના પ્રવેશ નહીં અને ઉપરથી મસમોટો દંડ! આવો ભંગ કરનારને ગેસનું સિલિન્ડર પણ ન આપો. બસ સ્ટેન્ડે સ્વાભાવિક છે, કોઈ મિડલ-ક્લાસનો મુસાફર માસ્ક વગર ઊભો હોય તો એને ય આકરો દંડ કરો... આકરો એટલે જરૂરી નથી, પૈસાનો જ દંડ હોય, જાહેર રસ્તા ઉપર એની પાસે ઉઠ-બેસ કરાવો, એક પગે ઊભો રાખો કે નાનકડો દંડ પણ લ્યો. આના પડઘા કેવળ એના ઘેર જ નહીં પડે, પણ એ જેટલાને ઓળખતો હશે, એ બધાંને કહી વળશે, એમાં પ્રચાર તો સિસ્ટમનો જ થવાનો છે!
હોટેલ-રેસ્ટોરાંઓ કે જીમ બંધ કરાવવામાં શૂરી સરકાર ‘મરેલાઓને મારી રહી છે!’ ગાર્ડનોમાં વગર માસ્કે આવનારાઓને ભારે દંડ કરો, પણ સાથે એ તો જુઓ કે, જિંદગીને આરે આવીને ઊભેલા વડીલો માટેનું આ નાનકડું સુખે ય ગાર્ડનો બંધ કરાવીને છીનવી લીધું છે. સોશિયલ-ડિસ્ટન્સિંગના ગાણાં ગાતી સરકાર પોતાના જ વેક્સિનેશન-કેમ્પમાં જઈને જુએ તો ખબર પડે કે, ત્યાં આ ઉપાયની કેવી ધજ્જીયાં ઊડી રહી છે! સેંકડોના ટોળાં ખુરશીઓમાં આજુબાજુમાં બેઠા હોય છે... ને આવ્યા છે વેક્સિન લેવા!
કાયદાનો સખ્ત અમલ કરાવવામાં સરકાર કયા કારણે ઢીલી પડી રહી છે, એ ચિંતા કરતા શંકાનો વિષય વધુ બનતો જાય છે. દાવો તો નેવું ટકા પ્રજામત એની સાથે હોવાનો વર્ષોથી થઈ રહ્યો છે ને આંકડાથી ય એ દાવો સિધ્ધ થતો હોય તો આ જ પ્રજા માટે સરકારે કંઈક કરી છુટવાનું છે ને? શાસક પક્ષ તો વિધાનસભામાં પ્રસ્તાવ કે બિલ લાવીને કોરોનાને ડામવામાં એટ લીસ્ટ, એટલો ફાળો તો નોંધાવી શકે! સરકાર ફરજિયાત માસ્કનો અસ્થાઈ કાયદો કેમ નથી બનાવી દેતી? એનાથી કમસેકમ માસ્ક ન પહેરનારા લોકોના મનમાં ગુનો કર્યાની ભાવના તો જન્મશે. જે રીતે અન્ય ગુના કરતી વખતે જન્મે છે. કોરોના સામે લડવાના બે જ હથિયાર છે માસ્ક અને વેક્સિન એ સંજોગોમાં એવો કાયદો કેમ ન થઈ શકે કે વેક્સિન ન લેનારાને એક પણ સરકારી કચેરીમાં પ્રવેશ નહીં મળે. કોઈ તો કાનૂન બનવો જોઈએ ને કે, પ્રજા આટલી હદે પેલું ઈંગ્લિશમાં કહે છે તેમ, આ ઉપાયોને taken for granted ગણી ન શકે. હાલમાં તો સ્થાનિક પોલીસને રોજનો ટાર્ગેટ પૂરો કરવા ધંધે વળગાડી દીધી છે અને તેમાં કંઈ ખોટું નથી, પણ દંડ ભેગો કરવાની સાથે કોરોના સામે લડવાની શિસ્ત તો કાયદાથી જ આવે. સરકાર પાસે કાયદા તો ઘણા છે, પણ અમલ કરાવતા શું નડે છે? અને જ્યાં કાયદો લાગુ ન પડતો હોય ત્યાં વિધાનસભામાં બિલ લાવતા કોણ રોકે છે? તમે તો મેજોરિટીમાં છો. આ બધું જ કરતાં પહેલા સરકારની પોતાની દાનત સારી જોઈશે. સૌથી પહેલી કાર્યવાહી, સૌથી પહેલો દંડ માસ્ક અને વેક્સિનના કાયદાઓનો ભંગ કરનારા સરકારના નેતા-મંત્રીઓને થવા જોઈશે. જો એવું થશે તો મીડિયાથી માંડીને રાજ્યનો દરેકેદરેક નાગરિક આ લડાઈના દરેક પગલામાં સરકારની સાથે ઊભો રહેલો દેખાશે. નહીં તો કોરોના આમ જ ફેલાતો રહેશે અને લોકો આમ જ મરતાં રહેશે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.