એર ઇન્ડિયાની દિલ્હી- અમદાવાદની ફલાઇટ ટેકઓફ થયા બાદ યાંત્રિક ખામી સર્જાતા રિટર્ન કરવી પડી હતી. એરલાઇનના ટેક્નિશિયનોએ ચેક કરતા વિમાન ઉડાન ભરી શકે તેવી સ્થતિમાં ન હોવાથી ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યું હતુ. ફલાઇટમાં સવાર 127 જેટલા પેસેન્જરોને બીજી ફલાઇટમાં દિલ્હીથી અમદાવાદ રવાના કર્યા હતા.
દિલ્હી એરપોર્ટ પરથી સોમવારે સવારે 10.10 કલાકે એર ઇન્ડિયાની ફલાઇટ (AI-481) અમદાવાદ માટે ટેકઓફ થઇ હતી. એરબોર્ન થયાના 10 મિનિટ બાદ ફલાઇટમાં કેપ્ટનને એન્જિનમાં કંઇક યાંત્રિક ખામી સર્જાઇ હોવાની જાણ થઇ હતી. કેપ્ટને સુરક્ષાના કારણોસર તાકીદે એર ટ્રાફિક કંન્ટ્રોલરનો સંપર્ક કરી ફલાઇટને રિર્ટન કરવાનો નિર્ણય લીધો હતો. ફલાઇટને સુરક્ષિત લેન્ડીંગ કરાવી પાર્કિંગ તરફ લઇ જવામાં આવી હતી. કેપ્ટને ઓનબોર્ડ ફલાઇટને રિટર્ન કરવાનું પણ એનાઉન્સમેન્ટ કરી દેતા પેસેન્જરોમાં પણ કચવાટ શરૂ થઇ ગયો હતો.
પૂણેની ફલાઇટ એક કલાક મોડી પડી
એરક્રાફ્ટ ચેક કરતા એન્જિનમાં મોટી ખામી જણાતા ગ્રાઉન્ડ કરાતા મુસાફરોને અમદાવાદ પહોંચાડવા બીજી ફલાઇટની વ્યવસ્થા કરાઈ હતી. આ ફલાઇટ અમદાવાદથી પૂણે રવાના થવાની હોવાથી 131 મુસાફરો એરપોર્ટ પર રાહ જોઇને બેઠા હતા. આમ 1.45 વાગે ટેકઓફ થનાર ફલાઇટ 2.45 કલાકે એક કલાકના વિલંબ બાદ રવાના થઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.