રાજ્યના ખેડૂતોને તાઉ-તે વાવાઝોડામાં નાશ પામેલા પાક માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. હવે સરકારે ખેડૂતોને પાક ધિરાણની રકમ ચૂકવવામાં રાહત આપી છે. રાજ્યની કોઈપણ બેંકમાંથી ખેડૂતોએ લીધેલા પાક ધિરાણની રકમ ભરપાઈ કરવાની સમય મર્યાદાની મુદ્દત 30 જુન સુધી લંબાવવામાં આવી છે. આ ધિરાણ ચુકવવામાં રાજ્ય સરકારની 4 ટકા વ્યાજ રાહત પણ સરકાર ચૂકવશે. રાજ્ય સરકાર ખેડૂતો પરના વ્યાજ રાહતનો વધારાનો અંદાજિત 241.50 કરોડ રૂપિયાનો ખર્ચ ભોગવશે.
આ નિર્ણયને પરિણામે રાજ્યના કોઇપણ ખેડૂત દ્વારા નેશનલાઇઝડ, રિજીયોનલ રૂરલ બેંક, સહકારી બેન્ક કે ખાનગી બેન્ક પૈકી કોઇપણ બેન્કમાંથી તા. ૦1-૦4-2020 થી તા. 30-09-2020 સુધીમાં પાક ધિરાણ લીધેલું હશે તેવા પાક ધિરાણની રકમ પરત ભરપાઇ કરવાની મુદત તા. 30-06-2021 સુધી વધારવામાં આવી છે.
4 ટકા વ્યાજ રાહતની રકમ ચુકવાશે
તા. ૦1-૦4-2021થી તા. 30-06-2021 સુધીમાં લહેણી થયેલ પર ધિરાણની રકમ અથવા લહેણી થનાર રકમ તા. 30-06-2021 સુધીમાં અથવા ખેડૂતો દ્વારા ખરેખર પાક ધિરાણ પરત ભરપાઇ કરે તે બેમાંથી જે વહેલું હોય તે તારીખ સુધીમાં પાક ધિરાણ પરત ભરપાઇ કરે તેવા તમામ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા મળતી 4 ટકા વ્યાજ રાહતની રકમ રાજ્ય સરકાર દ્વારા ચુકવવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે.
એક સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં નાણાં જમા થશેઃ વિજય રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કૃષિ સહાય પેકેજ પેટે રૂ. 500 કરોડ કરોડની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 33 ટકા નુકસાન હશે તેવા ખેડૂતના તમામ બાગાયતી પાકના વૃક્ષો નાશ પામ્યો હોય તો હેકટરદીઠ રૂ.1 લાખ મહત્તમ બે હેકટર સુધી અપાશે. તેમણે કહ્યું કે, બાગાયતી પાકમાં વૃક્ષ ઊભું હોય પણ પાક ખરી ગયો હોય તો 30 હજાર પ્રતિ હેકટરદીઠ, ઉનાળું પાક જેવા કે બાજરો,કઠોળ સહિતના પાકમાં 20 હજાર પ્રતિહેકટરદીઠ અપાશે. ખેડૂતને સહાય એક અઠવાડિયામાં તેમના બેંક ખાતામાં જમા થશે.
86 તાલુકાઓમાં બે લાખ હેક્ટર વિસ્તારના પાકોને નુકસાન
મુખ્યમંત્રી રૂપાણીએ આ નિર્ણયની ભૂમિકા આપતાં કહ્યું કે, તાઉ-તે વાવાઝોડાની વ્યાપક અસર ગીરસોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ એ પાંચ જિલ્લાઓ સાથે દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ, ભરૂચ જિલ્લાઓમાં પણ થઈ છે અને રાજ્યના 86 તાલુકાઓમાં અંદાજે બે લાખ હેક્ટર વિસ્તારના કૃષિ અને બાગાયત પાકોને વ્યાપક નુકસાન થયું છે.
નાશ પામેલા બાગાયતી પાકો માટે રૂ.1 લાખની સહાય
તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, આંબા, નાળીયેરી, ચીકુ, લીંબુ જેવા બહુ વર્ષાયુ ફળાઉ વૃક્ષ પડી જવાના કે મૂળ સહિત ઉખડી જવાથી કાયમી નાશ પામવાના કિસ્સામાં રાજ્ય સરકારે પહેલીવાર હેક્ટર દિઠ મહત્તમ રૂ. એક લાખની ઐતિહાસિક સહાય, બે હેક્ટરની મર્યાદામાં આપવાનો નિર્ણય કર્યો છે.
ખાલી પાક ખર્યો હશે તો પ્રતિ હેક્ટર રૂ.30,હજારની મદદ
બાગાયતી પાકોની ખેતીમાં ખેતી ખર્ચ ઘણો ઉંચો આવતો હોય છે અને ઉત્પાદનમાં નુકશાન થતાં ખેડૂતોએ ઘણું મોટું આર્થિક નુકશાન સહન કરવું પડતુ હોય છે, તે સ્થિતિમાં રાજ્ય સરકારે એવો નિર્ણય કર્યો છે કે, બહુવર્ષાયું ફળ આંબા, ચીકુ, લીંબુ, નારિયેળ, જામફળ વગેરે પાકોમાં જ્યાં ઝાડ ઉભા છે પરંતુ પાક ખરી પડ્યો છે અને 33 ટકાથી વધુ નુકસાન થયું છે તે માટે રૂ. 30,000 પ્રતિ હેક્ટર સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે.
33 ટકાથી વધુ નુકસાન પામેલા પાકો માટે 20 હજારની સહાય
તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારે એવો પણ નિર્ણય કર્યો છે કે, ઉનાળુ કૃષિ પાકો તલ, બાજરી, મગ, અડદ, ડાંગર, મગફળી, ડુંગળી, કેળ, પપૈયા વગેરેમાં 33 ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તેવા કિસ્સામાં ઉત્પાદન નુકસાન સહાય પેટે હેક્ટર દીઠ રૂ. 20,000ની સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં રાજ્ય સરકાર આપશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.