રાજ્યમાં પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે નિમાયેલી કમિટી દ્વારા પ્રશ્નોના ઉકેલ માટે કામગીરી શરૂ કરી દેવામા આવી છે. 3 તારીખે ગાંધીનગરમાં બેઠક બોલાવવામા આવી છે જેમાં રાજ્યના છ જિલ્લાઓના પોલીસકર્મીઓના પ્રશ્નો પણ મંગાવવામા આવ્યા છે. રાજ્યમાં પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે મામલે આંદોલન થયા બાદ રાજ્ય સરકાર દ્વારા પાંચ સભ્યોની એક કમિટીની રચના કરવામા આવી છે. ત્યારે કમિટી દ્વારા ગાંધીનગરમાં 3 તારીખે એક બેઠક બોલાવવામા આવી છે. જેમાં 6 જિલ્લાના પોલીસકર્મીઓની રજૂઆતો સાંભળવામાં આવશે.
એસઆરપીના કુલ 4 જૂથના કર્મચારીઓ પ્રશ્નો રજુ કરી શકશે
આ બેઠકમાં ગાંધીનગર,મહેસાણા,બનાસકાંઠા,અરવલ્લી,પાટણ,સાબરકાંઠા અને એસઆરપીના કુલ 4 જૂથના કર્મચારીઓ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકશે. સ્થાનિક અને રાજ્યકક્ષાએ રચાયેલી ફરિયાદ નિકાલ સમિતિના સભ્યો તરીકે નિમણૂક પામેલ હોય અને હાલ ફરજમાં ચાલુ હોય તેઓને આ બાબતની જાણ કરી, પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે તથા અન્ય લાભો મેળવવા માટે રજૂઆત હોય તો તેઓની રજૂઆતો ભેગી કરી તેની એક જ સંકલિત રજૂઆત લેખિત સ્વરૂપે મુદ્દાસર કમિટી સમક્ષ રજૂ કરવા જણાવવા તેમ જ તેઓને 3 નવેમ્બરે ગાંધીનગરમાં યોજાનારી કમિટીની બેઠકમાં હાજર રહે તે રીતે છુટા કરી મોકલી આપવા વિનંતી કરવામા આવી છે.
પોલીસ કર્મીઓની શું છે માંગ
ગુજરાતના વિવિધ કર્મચારી યુનિયનના દબાણથી કર્મચારીઓનો ગ્રેડ પે અને ભથ્થામાં સુધારા થઈ રહ્યા છે. રાજ્યના તમામ કર્મચારીઓના મળવા પાત્ર લાભ અંગે બંધારણીય સમાનતા જળવાઈ રહે તે માટે પોલીસ કર્મચારીઓના જાહેર હિતમાં રજૂઆત કરી કર્મચારીઓને વિવિધ સેવાઓ આપવામાં માંગણી કરવામાં આવી છે. રાજ્યના ASI(આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર), હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલના ગ્રેડ પે ખૂબ ઓછા છે. જેના બદલે 4200, 3600, 2800 ગ્રેડ પે કરવા તેમજ ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓને મળતા વર્ષો જુના ભથ્થામાં તાત્કાલિક વધારો કરવા માગણી કરવામાં આવી છે. આ પોલીસ કર્મીઓ દ્વારા ગ્રેડ પે વધારોની માંગણીની સાથે સાથે યુનિયન બનાવવાની પણ માંગણી કરી રહ્યા છે.
ગ્રેડ-પે આંદોલનમાં જોડાનારા 229 પોલીસકર્મી સામે તપાસ
ગુજરાત પોલીસના કર્મચારીઓના ગ્રેડ પેમાં વધારો કરવાના આંદોલનમાં જોડાનારા રાજ્યના કુલ 229 પોલીસ કર્મચારીઓ સામે તપાસના આદેશ અપાયા છે. ઉપરાંત રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 10 ગુના દાખલ કરાયા છે, જેમાં પોલીસ કર્મચારીઓ સહિત કુલ 27નો સમાવેશ થાય છે. રાજ્ય પોલીસવડાએ પોલીસના ગ્રેડ પે વધારાના આંદોલન મામલે સોશિયલ મીડિયામાં ગેરમાર્ગે દોરતી કોમેન્ટ્સ અંગે પણ કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે. બીજી બાજુ પોલીસના પ્રશ્નોના નિરાકરણ કરવાના હેતુથી પોલીસ દાદ ફરિયાદ નિવારણ સમિતિ અમલમાં છે, જે મુજબ આજદિન સુધી રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં કુલ 298 દાદ ફરિયાદ સમિતિની બેઠકોનું આયોજન કરવામાં આવ્યં હતું.
પોલીસ કર્મચારીઓને સો. મીડિયામાં પોસ્ટ ન કરવા સૂચના
પોલીસ કર્મચારીઓના સોશિયલ મીડિયા મારફતે ચાલી રહેલા ગ્રેડ પે આંદોલનનો મામલે પોલીસની અભિવ્યક્તિ પર ઉપરી અધિકારીઓની તરાપના આરોપ લાગી રહ્યા છે. આચારસંહિતાની અમલવારી કરવા અધિક પોલીસ મહાનિર્દેશક નરસિમ્હા કમારે પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં સોશિયલ મીડિયા પર આચારસંહિતા ભંગ થતી ટીપ્પણી ના કરવા સૂચના આપવામાં આવી હતી. પોલીસના પગાર અને ગ્રેડ પે બાબતે સોશિયલ મીડિયામાં મોટા પાયે આંદોલન ચાલી રહ્યું છે જેને અધિક પોલીસ મહાનિર્દેશક પોલીસકર્મીઑને પરિપત્ર જાહેર કરી આમ ન કરવા સૂચના આપી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.