'જનરેશન Z'માં અનેરો ઉત્સાહ:ગુજરાતમાં વેક્સિનેશન અભિયાનમાં પહેલા દિવસે 5,34,710 બાળકોને વેક્સિન અપાઈ, શિક્ષણમંત્રીએ કહ્યું-સ્કૂલો ઓનલાઇન શિક્ષણનું ઓપ્શન આપે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આધાર કાર્ડ કે અન્ય પુરાવો ન હોય તોપણ માતા-પિતા કે સ્કૂલના શિક્ષક-આચાર્યના મોબાઈલ પરથી રજિસ્ટ્રેશન કરાવી રસી લઈ શકાશે
  • અમદાવાદમાં સ્કૂલ કેમ્પસમાં અલગ અલગ રૂમ ફાળવવામાં આવ્યા

રાજ્યમાં 15થી 18 વર્ષ સુધીના કિશોરોને કોરોનાની રસી માટે આજથી રસીકરણ અભિયાનની શરૂઆત થઈ છે. જેમાં આજે રાજ્યભરમાંથી 5,34,710 બાળકોને રસી અપાઈ હતી. આ પહેલા સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 15થી 18 વર્ષની વયના કિશોરો (જનરેશન Z) કોરોના વેક્સિન આપવાના અભિયાનને ગાંધીનગરના કોબાની જી.ડી.એમ. કોનાવાલા હાઇસ્કૂલથી શરૂ કરાવ્યું હતું. ત્યાર બાદ રાજ્યભરમાં ટીનેજર્સને વેક્સિન આપવાની શરૂઆત થઈ હતી. વેક્સિન માટે ટીનેજર્સે લાઇન લગાવી હતી.

મુખ્યમંત્રી આજે સવારે આ શાળામાં પહોંચ્યા હતા અને તેમણે કિશોરોના રસીકરણની કામગીરી નિહાળી હતી. તેમણે કિશોરો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો. રસી માટે વાલીઓ ઓનલાઈન www.cowin.gov.in પોર્ટલ પર પણ સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત જે લોકોએ અર્બન હેલ્થ સેન્ટર પર જઈને સીધા રસી મુકાવી હશે તેમના માટે ઓફલાઈન વિકલ્પની પણ સુવિધા રખાઈ છે.

કોરોનાના કેસો વધવા લાગતાં શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ સ્કૂલોને ઓફલાઇન શિક્ષણનો આગ્રહ ન રાખવા અને ઓનલાઇન શિક્ષણનો વિકલ્પ આપવા સૂચના આપી છે.

અમદાવાદ સિવિલમાં આરોગ્યમંત્રીએ વેક્સિનેશનનો પ્રારંભ
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વેક્સિનેશન માટે આવેલા 9 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વેક્સિનેશનની પ્રક્રિયાનો પ્રારંભ કરાવ્યો હતો. એ ઉપરાંત તેમણે સિવિલના સ્પેશિયલ વોર્ડનું લોકાર્પણ પણ કર્યું હતું. તેમણે વધુ વિદ્યાર્થીઓ રસી લે એવી અપીલ પણ કરી હતી. બીજી બાજુ, શહેરની વેજલપુર વિસ્તારની RR ત્રિવેદી સ્કૂલમાં રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. આજે 300થી વધુ બાળકોને વેક્સિન અપાશે. શહેરમાં વિદ્યાર્થીઓમાં વેક્સિનેશનને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. RR ત્રિવેદી સ્કૂલમાં વેક્સિન લેનારી પહેલી વિદ્યાર્થિની પૂજા અદરેશિયાએ જણાવ્યું હતું કે હસી લેતાં પહેલાં કન્ફ્યુઝનની સાથે એક્સાઇટમેન્ટ હતું, પરંતુ હવે વેક્સિન લીધા બાદ સારું લાગી રહ્યું છે. તેણે તમામ લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરી હતી.

વેદાંત સ્કૂલ, મણિનગરમાં તૈયારીઓ શરૂ કરી દેવાઈ.
વેદાંત સ્કૂલ, મણિનગરમાં તૈયારીઓ શરૂ કરી દેવાઈ.

શું છે જનરેશન Z?
2003થી 2007 વચ્ચે જન્મેલાં બાળકોની જે જનરેશન છે તેના માટે જનરેશન Z અથવા શોર્ટમાં Gen Zથી ઓળખાય છે. એને બોલચાલની ભાષામાં ઝૂમર્સ તરીકે પણ ઓળખાય છે. નાની ઉંમરથી જ ઈન્ટરનેટ અને ડિજિટલ ટેક્નોલોજીની ઍક્સેસ સાથે ઊછરેલી આ પેઢીને "ડિજિટલ નેટિવ્સ" તરીકે ઓળખવામાં આવે છે. આ પેઢી જન્મે ત્યારથી જ ડિજિટલ ગેજેટ્સ તેના હાથમાં આવી જાય છે. અગાઉની પેઢીઓની સરખામણીમાં કેટલાંક વિકસિત રાષ્ટ્રોમાં જનરેશન Zના કિશોરો સારી રીતે વર્તે છે. તેના વિચારો પણ એડવાન્સ હોય છે. જનરેશન Z કિશોરો અભ્યાસ કરવાની સાથે-સાથે નોકરી કરવામાં પણ માને છે, એટલે અત્યારે જે પેઢી 15થી 18 વર્ષની ઉંમરની છે તે ઝૂમર્સ જનરેશન તરીકે ઓળખાય છે. આ પેઢીનાં બાળકો જે શબ્દો બોલે છે એ ડિજિટલ યુગના શોર્ટ શબ્દો છે, જેમ કે ફેબ્યુલસને ફેબ કહે. આનંદ લેવાનો હોય ત્યારે જસ્ટ ચિલ... શબ્દ વાપરે. કોઈ ગુસ્સો કરે ત્યારે કૂલ શબ્દ વાપરે. આ રીતે અત્યારની પેઢીની વ્યાખ્યા થાય છે.

રાજકોટ શહેરમાં 71 શાળામાં વેક્સિનેશનની શરૂઆત
વડાપ્રધાન મોદી દ્વારા 15થી 18 વર્ષનાં બાળકોને વેક્સિનેશનની જાહેરાત કર્યા બાદ આજથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં બાળકોનું વેક્સિનેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. રાજકોટમાં પણ આજે સવારથી બાળકોમાં વેક્સિનેશનની શુભ શરૂઆત કરી દેવામાં આવી છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની માગને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા શાળા-કોલેજના માધ્યમથી વેક્સિનેશન કરવા નિર્ણય કર્યા બાદ આજે રાજકોટ શહેરમાં 800 પૈકીની 71 શાળામાં વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે.

રાજકોટમાં સવારથી જ વેક્સિન લેવા માટે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ દેખાયો હતો.
રાજકોટમાં સવારથી જ વેક્સિન લેવા માટે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ દેખાયો હતો.

વડોદરામાં રસીકરણ માટે 120 સ્કૂલ અને 10 કેન્દ્ર શરૂ કરાયાં
વડોદરામાં પાલિકા દ્વારા 15થી 18 વર્ષના કિશોરો રસી આપવા દૈનિક આશરે 120 જેટલી શાળાઓ અને 10 જેટલાં રસીકરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. પ્રત્યેક શાળાદીઠ એક નોડલ અને હજારથી વધુ સ્ટાફ કામે લાગ્યો છે. 7મી સુધીમાં રસીકરણ વિદ્યાર્થીઓને તેમની શાળાઓમાં આપવાની સાથે સાથે 9 જેટલાં સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યાં છે, જ્યાંથી પણ રસી કિશોરો લઈ શકશે, સાથે જ રજિસ્ટ્રેશન પણ પાલિકાની વેબસાઈટ પર કરી શકશે. તમામ કિશોરેને કોવેક્સિનની રસી આપવામાં આવી રહી છે. રસી મુકાવવા આવનારા કિશોરોને ચા-નાસ્તો કરીને આવવા જણાવાયું છે. ભૂખ્યા પેટે રસી મુકાવવા આવવું નહીં એવું આરોગ્ય વિભાગ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીએ કિશોરોના રસીકરણની કામગીરી નિહાળી હતી.
મુખ્યમંત્રીએ કિશોરોના રસીકરણની કામગીરી નિહાળી હતી.

સુરત શહેરમાં 1.92 લાખ જેટલા કિશોરોને 7મી સુધીમાં રસી અપાશે
વિશ્વમાં હાહાકાર મચાવનાર ઓમિક્રોનના કેસની સાથે કોરોના પોઝિટિવમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોના સામે પ્રતિકારક એવી રસી માટે પાલિકા દ્વારા રસીકરણ અભિયાન તેજ કરવામાં આવ્યું છે. શહેરીજનો માટે 123 સેન્ટરની સાથે સાથે 15થી 18 વર્ષના કિશોરો માટે વેક્સિનેશન અભિયાન તેજ કરવામાં આવ્યું છે. 1.92 લાખ જેટલા કિશોરોને રસી મળી રહે એ માટે પાલિકાનો 1 હજારથી વધુનો સ્ટાફ કામે લાગ્યો છે, સાથે 7મી સુધીમાં તમામ કિશોરોને વેક્સિનેટ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. પાલિકા દ્વારા 15થી 18 વર્ષના કિશોરો રસી આપવા દૈનિક આશરે 120 જેટલી શાળાઓ અને 10 જેટલા રસીકરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. પ્રત્યેક શાળાદીઠ એક નોડલ અને હજારથી વધુ સ્ટાફ કામે લાગ્યો છે. 7મી સુધીમાં રસીકરણ વિદ્યાર્થીઓને તેમની શાળાઓમાં આપવાની સાથે સાથે 9 જેટલાં સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યાં છે, જ્યાંથી પણ રસી કિશોરો લઈ શકશે, સાથે જ રજિસ્ટ્રેશન પણ પાલિકાની વેબસાઈટ પર કરી શકશે. તમામ કિશોરોને કોવેક્સિનની રસી આપવામાં આવી રહી છે.

મુખ્યમંત્રીએ બાળકો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો.
મુખ્યમંત્રીએ બાળકો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો.

શાળામાં વેક્સિનેશન કેવી રીતે થશે?
શાળાઓમાં વેક્સિનેશન પ્રક્રિયા સોમવારથી શરૂ થઈ રહી છે. આ માટે ઘણી સ્કૂલોએ અત્યારથી વાલીઓ પાસેથી સંમતિપત્ર મગાવવાનું શરૂ કરી દીધું છે. શાળામાંથી વેક્સિને લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓનું ત્યાં જ રજિસ્ટ્રેશન કરાશે અને રસી અપાશે. આ માટે સ્કૂલના 3-4 રૂમનો ઉપયોગ કરાશે. એમાં એક રૂમમાં રજિસ્ટ્રેશનની પ્રોસેસ રહેશે. બીજા રૂમમાં વેક્સિન અપાશે અને અન્ય રૂમમાં વિદ્યાર્થીઓને ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવશે.