ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જાડું ધાન પકવતા ખેડૂત પરિવારો સાથે સંવાદ કર્યો હતો. નોંધનીય છે કે, યુનાઈટેડ નેશન્સ દ્વારા 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ જાહેર કર્યું છે. તેને લઈ રાજ્ય સરકાર દ્ધારા ગુજરાતમાં મિલેટ્સના ઉપયોગ માટે જનજાગૃતિ લાવવા અને ખેડૂતોને તેની ખેતી માટેની તાલીમ આપવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ મિલેટ મહોત્સવમાં મંત્રીમંડળના મંત્રીઓ, મુખ્ય સચિવ પંકજકુમાર અને સરકારના વરિષ્ઠ સચિવઓ, અધિકારીઓ તેમજ 33 જિલ્લામાંથી આવેલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ મિલેટ્સ પકવતા ખેડૂતોની વિવિધ પ્રોડક્ટ્સ આ તકે નિહાળી હતી. મિલેટ્સની વાનગીઓના ભોજનનો સ્વાદ પણ મહોત્સવમાં ઉપસ્થિત સૌએ માણ્યો હતો.
મહાનગરો, તાલુકા-જિલ્લા કક્ષાએ કાર્યક્રમોનું આયોજન
મિલેટ વર્ષ 2023 અંતર્ગત રાજ્યના 8 મહાનગરોમાં ‘મેગાસિટી મિલેટ એક્સ્પો’નું યોજાશે. જેથી શહેરી વિસ્તારોમાં મિલેટ્સના ઉપયોગને પ્રોત્સાહન મળશે. મિલેટ્સ પકવતાં ખેડૂતો અને ગ્રાહકોને કોમન પ્લેટફોર્મ મળશે. ખેડૂતોને મિલેટ્સની ખેતી માટે તાલીમ આપવા જિલ્લા કક્ષાએ 24 વર્કશોપ તથા તાલુકા સ્તરે 252 સેમિનાર યોજાશે. રાજ્યકક્ષાનો સેમિનાર નવસારી એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં યોજાશે. ખેડૂતોને 5150 ક્વિન્ટલ જેટલી જુવાર, બાજરી અને રાગીના પ્રમાણિત બીજનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત તાલુકા અને ગ્રામ્ય સ્તરે 210 સ્થાનોએ ખેડૂતોને ક્રોપિંગ સિસ્ટમ બેઝ્ડ તાલીમ અપાશે.
યુનાઇટેડ નેશન્સે વર્ષ-2023ને ‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ તરીકે જાહેર કર્યું
આ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની પારંપારિક ખેત પેદાશ-મિલેટ્સની ખેતી અને તેના આહારમાં ઉપયોગને પ્રોત્સાહન આપવા કરેલી હિમાયતની સફળતાને પગલે યુનાઇટેડ નેશન્સે વર્ષ-2023ને ‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. ભારત સહિત દુનિયાભરના દેશોમાં મિલેટની ઉપયોગીતા અંગે જનજાગૃતિ આ ઉજવણીને પરિણામે આવશે. વિશ્વના 70થી વધુ દેશોનું વડાપ્રધાનના પ્રસ્તાવને સમર્થન મળતાં, યુનાઇટેડ નેશન્સને 2023ને ‘ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે.
પશ્ચિમના દેશો પણ સજાગ બન્યા
વધુમાં ઉમેર્યું હતું કે, હવે તો પશ્ચિમના દેશો પણ સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બન્યા છે અને આવા પૌષ્ટિક મિલેટ્સ, પ્રાકૃતિક ખેતીથી પકવેલા અનાજનો વધુને વધુ ઉપયોગ કરવા પ્રેરિત થયા છે. આ સંદર્ભમાં આપણા પરંપરાગત ધાન એવા બાજરી, જુવાર, રાગી, મકાઇને વિશ્વના દેશો પણ અપનાવી શકે છે.
મિલેટ્સ એટલે શું?
મિલેટ એટલે જાડું ધાનઃ જુવાર,બાજરી, રાગી વગેરે. અનાજની ખેતી ભારતમાં સદીઓથી થાય છે. સિંધુ ખીણ સભ્યતા-ઇન્ડસ વેલીમાં મિલેટ્સની ખેતી અને તેના આહાર અંગેના પૂરાવા મળેલા છે. બાજરી, જુવાર, જવ, રાગી, રાજગરો વગેરે જાડા ધાન અનેક પોષક તત્ત્વોથી ભરપૂર છે અને શક્તિદાયક છે, પાચનમાં પણ મદદરૂપ છે. મિલેટ્સના નિયમિત ભોજનથી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સ્ટ્રોક, આંતરડાના કેન્સર અને અન્ય ગંભીર બિમારીનું જોખમ ઘટી જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.