છેલ્લા ઘણા વર્ષોથી આસ્થા અને શ્રદ્ધા સાથે ઇમામ હુસેનની યાદમાં દર વર્ષે યોજાતા તાજીયા જુલુસને આ વર્ષે પણ કોરોના મહામારીના કારણે નહી કાઢવાનો નિર્ણય લેવાયો હોવાની વાત સામે આવી છે. મહોરમ માસ દરમ્યાન બંદગી, ઈબાદત સાથે ઇમામ હુસેનની શહાદતની યાદમાં તાજીયા-જુલુસ દરેક શહેરમાં નીકળે છે. જો કે કોરોના મહામારીના કારણે ગત વર્ષે તાજીયાનું જુલુસ અમદાવાદમાં નીકળ્યું ન હતું. આ વર્ષે પણ 19મી ઓગસ્ટના રોજ મહોરમના દિવસે અમદાવાદ શહેરમાં તાજીયાનું જુલુસ ન કાઢવાનો મહોરમ તાજીયા કમિટિએ નિર્ણય લીધો છે.
સરકારની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ જેસીપી પ્રેમવીરસિંહ, સેકટર-1 જેસીપી આર.વી અંસારી અને તમામ ઝોનના ડીસીપી સાથે મહોરમ તાજીયા કમિટિએ બેઠક કરી અને કોરોના તેમજ સરકારની લોકોના ભેગા ન થવાની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખી જુલુસ ન કાઢવાનો નિર્ણય લીધો હતો.
આ વર્ષે જુલુસ નહીં નીકળે
મહોરમ તાજીયા કમિટિના પ્રમુખ પરવેઝ મોમીને Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મહોરમ દરમ્યાન તાજીયા જુલુસ કાઢવા અંગે આજે શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં ક્રાઈમ બ્રાન્ચ જેસીપી પ્રેમવીરસિંહ, સેકટર-1 જેસીપી આર.વી અંસારી અને તમામ ઝોનના ડીસીપી સાથે મહોરમ તાજીયા કમિટિએ બેઠક કરી હતી. બેઠકમાં કમિટીએ કોરોના મહામારી તેમજ સરકારની લોકોના ભેગા ન થવાની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખી જુલુસ ન કાઢવાનો નિર્ણય જણાવ્યો હતો.
લોકો ઘર અથવા મેદાનમાં તાજીયા રાખી શકશે
તેમણે વધુમાં જણાવ્યું કે, જો કે લોકો પોતાના ઘર અથવા મેદાનમાં ક્યાંય તાજીયા રાખી જે ધાર્મિક વિધિ કરવાની છે તે કરી શકશે. પરંતુ જાહેરમાં ક્યાંય તાજીયાનું જુલુસ કાઢી શકશે નહીં. મહોરમના તહેવાર પર તાજીયા શહેરના જુદાજુદા વિસ્તારમાં ફરે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે જો કે ચાલુ વર્ષે કોરોનાના લીધે દરેક કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.