શહેરમાં પડતર માગણીને લઇને સફાઇ કામદારો હડતાળ પર છે. શહેરના કેટલાક વિસ્તારમાં સફાઇ થતી નથી. ત્યારે શનિવારે બપોરે વસ્ત્રાપુર લાડ સોસાયટી પાસે કચરાની ગાડીમાંથી 10થી12 સફાઇ કામદારોએ કચરો રસ્તા પર ફેંકી દીધો હતો. મ્યુનિ. કમિશનર જ્યાં સુધી રૂબર નહીં સાંભળે ત્યાં સુધી આંદોલન રાખવાની ચીમકી ઉચ્ચારી છે.
છેલ્લા 4 દિવસથી સફાઇ કામદારોની ચાલી રહેલી હડતાળે શનિવારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સફાઇ કામદારોએ બપોરે કોન્ટ્રાક્ટ પરના સફાઇ કામદારોને પણ તેમની સાથે જોડવાના મેસેજ વહેતા કર્યા હતા. બીજી તરફ બપોરના સમયે લાડ સોસાયટી વસ્ત્રાપુર પાસેથી પસાર થઇ રહેલી એક કચરાની વાનમાંથી કેટલાક સફાઇ કામદારોએ તમામ કચરો રસ્તા પર ફેંકી દીધો હતો..
રજૂઆત નહીં સાંભળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે
સફાઇ કામદારો મોટી સંખ્યામાં સફાઇની કામગીરીથી અળગાં થઇ રહ્યાં છે. સોમવારે સફાઇ કામદારો દાણાપીઠ તેમજ રિવરફ્રન્ટ હાઉસ ખાતે કોઇ આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાનું આયોજન કરી રહ્યાં છે. સફાઇ કામદારોએ જણાવ્યું છે કે, જ્યાં સુધી કમિશનર દ્વારા તેમની રજૂઆત રૂબરૂમાં સાંભળવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાનું આંદોલન ચાલુ રાખશે. સોમવારથી મ્યુનિ. કચેરી શરૂ થાય તે બાદ સફાઇ કામદારો રિવરફ્રન્ટ ખાતેની કચેરી, દાણાપીઠની મુખ્ય કચેરીએ આશ્ચર્યજનક કાર્યક્રમો આપે તેવી શક્યતાઓ છે.
સમગ્ર દેશમાં ખેડૂતોનું આંદોલન હાલ ચર્ચામાં છે, પણ હવે અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલતું સફાઈકામદારોનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે. આજે સવારે બોડકદેવની કોર્પોરેશન કચેરી બહાર સફાઈકામદારો માટે જમવાની વ્યવસ્થા શરૂ થઈ છે. રીતસર રસોડા શરૂ કરવામાં આવ્યા છે.ગરીબ લોકો પોતાના પાસેથી 10 કે 20 રૂપિયા આપીને મદદ કરે છે તથા જમવાનું અને પાણી આંદોલનકારી માટે વ્યવસ્થા પણ કરે છે
બીજીતરફ સફાઈકર્મીઓ હડતાળ પર હોવાથી અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં ગંદકી ફેલાઈ રહી છે. સાફસફાઈ ન થતાં રોડ પર કચરાના ઢગલા થઈ ગયા છે, જેને કારણે વાહનોને અવરજવરમાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ છે. કચરામાં વપરાયેલાં માસ્ક તેમજ અન્ય વસ્તુઓ પડેલી હોવાથી વાઈરસનું જોખમ પણ વધી શકે છે.
સફાઈકર્મચારીઓ પોતાની માગો માટે આવ્યા, પણ ભૂખ-તરસ તેમના આંદોલનને હચમચાવી શકે નહીં એ માટે લોકો એકત્ર થયા છે. અહીં હાજર લોકોએ પોતાના પાસેથી 20, 25 રૂપિયા મદદ કરીને ખીચડી બનાવીને એનાં 1500 જેટલા ફૂડ-પેકેટ બનાવ્યાં છે. અહીં લોકો જમવાનું બનાવવાની મદદ કરી રહ્યા છે. તો કોઈ પાણી અને અન્ય વ્યવસ્થા કરે છે. અહીં હાજર લોકોના જણાવ્યા અનુસાર, હવે તેઓ રાતે પણ અહીં રહીને અદોલન ચાલુ રાખશે, જ્યાં સુધી તેમની માગો નહિ સ્વીકારી લેવાય ત્યાં સુધી તેઓ પોતાનું ઉગ્ર અદોલન ચાલુ રાખશે.
સફાઈકર્મીઓ હડતાળથી શહેરના હાલબેહાલ
પીઆઇ આર.એમ. સરોદેએ સફાઈકર્મીઓની ફરિયાદ લેવાની ના પાડી દીધી હતી, જેને પગલે આક્રમક બનેલા સફાઈકર્મીઓએ હાય હાય ભાજપ, મેયર, કમિશનરના સૂત્રોચ્ચાર કર્યા, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો હુરિયો બોલાવ્યો હતો. સફાઈકર્મીઓએ બપોર બાદ ત્રણ કલાક કરતાં વધુ સમય સુધી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન સામેનો રોડ બ્લોક કરી રાખ્યો હતો. DYMC ખરસાણ સામે ફરિયાદ નોંધવા ત્રણ વખત પોલીસ સાથે વાટાઘાટો છતાં કોઈ ઉકેલ આવ્યો ન હતો. સફાઈકર્મીઓ પોલીસ ફરિયાદની માગ પર અડગ છે અને ત્રણ કલાકથી રસ્તો રોકી કર્મચારીઓ બેઠા હતા.
પહેલીવાર પોલીસ સ્ટેશનના દરવાજા બંધ
સફાઈકર્મીઓ બોડકદેવ ખાતે આવેલી ઉત્તર પશ્ચિમ ઝોનની ઓફિસે ભેગા થયા હતા. કર્મીઓની ભીડ જામતાં બોડકદેવ ઝોનલ ઓફિસના ગેટ પોલીસે બંધ કરાવી દીધા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનનો કર્મચારી હોય કે સામાન્ય માણસ હોય, કોઈને પણ અંદર જવાની પરમિશન આપવામાં આવી ન હતી. પોલીસે ઝોનલ ઓફિસના ગેટને બંધ કરાવી દેતાં કામકાજ અટકી પડ્યું હતું. ત્યારબાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પણ ગેટ બંધ કરી દેવાતાં નોકર મંડળ દ્વારા આકરા આંદોલનની ચીમકી આપવામાં આવી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.