ગોમતીપુરમાં પત્ની પર ખોટી શંકા રાખી મારઝૂડ કરી 3 વાર તલ્લાક બોલી છૂટાછેડા આપનાર ડોક્ટર પતિ વિરુદ્ધ ગોમતીપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગોમતીપુરમાં રહેતી 28 વર્ષીય યુવતીના લગ્ન 2020માં ધંધુકા ખાતે રહેતા ડોક્ટર સાથે થયા હતાં. પતિને અમદાવાદમાં અર્બન હેલ્થ સેન્ટરમાં નોકરી મળતાં તેઓ બંને ભાડાના મકાનમાં રહેવા માટે આવ્યા હતાં. અહીં આવ્યા બાદ પતિ પત્નીને કોઇની સાથે વાત કરવા દેતો ન હતો. આ ઉપરાંત પત્ની જ્યાં પણ જાય ત્યાં તેની સાથે જ જતો એટલું જ નહીં પતિ નોકરીએથી ઘરે આવીને પત્નીનો મોબાઇલ ફોન પણ ચેક કરતો હતો.
પત્ની જ્યારે પણ પાડોશી કે સગાં-સંબંધીના ઘરે જાય તો તેની સાથે ઝઘડો કરી તેને અવાર નવાર માર મારતો હતો. નાની-નાની વાતે ગાળો બોલી ખોટી શંકા રાખી પત્નીને માનસિક-શારીરિક ત્રાસ આપતો હતો. ગત 23 એપ્રિલે પરીણિતાના પિતાનો જન્મદિવસ હોવાથી તે પિતાના ઘરે મળવા ગઇ હતી, ત્યાંથી પરીણિતાને ઘરે પરત આવતા મોડું થયું હતુું. જ્યારે તે ઘરે પરત આવી ત્યારે ડોક્ટર પતિએ આ વાતને લઈને તેની સાથે ઝઘડો કરી માર માર્યો અને 3 વાર તલ્લાક બોલી છૂટાછેડા આપી દીધા હતાં. આથી કંટાળીને પરિણીતાએ પતિ વિરુદ્ધ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.