ગુજરાત હાઇકોર્ટના વધુ એક સિનિયર જજની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ભલામણ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ કોલેજીયમ દ્વારા ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ રશ્મિન મનહરભાઈ છાયાની ગુવાહાટી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ભલામણ કરી છે. થોડા દિવસ પહેલાં જ ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ તરીકે જસ્ટિસ જેબી પારડીવાલાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. તે બાદ હવે વધુ એક ગુજરાત હાઈકોર્ટના જજ અન્ય કોર્ટમાં પોતાની સેવા આપશે.
1984માં વકીલાતનો પ્રારંભ કર્યો હતો
ગુજરાત હાઇકોર્ટે વર્તમાન સિનિયર મોસ્ટ જજ જસ્ટિસ આર.એમ.છાયાને ગુવાહાટી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે બઢતી આપવાની ભલામણ સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા કરવામાં આવી છે. વર્ષ 2011માં ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે જોડાયા હતા. જસ્ટિસ છાયાએ એમ.એસ.યુનિવર્સિટીમાંથી સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ એલ.એ.શાહ કોલેજમાંથી L.L.B.કર્યું હતું. ત્યારબાદ વર્ષ 1984માં વકીલાતનો પ્રારંભ કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકાર તરફથી આસિસ્ટન્ટ ગર્વમેન્ટ પ્લિડર અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે પણ સેવા આપી ચુક્યા છે. તેઓ અમદાવાદ ઉપરાંત રાજકોટ અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના એડવોકેટ રહી ચુક્યા છે.ગુજરાત હાઇકોર્ટેમાં કુલ 52 જજની સ્ટ્રેથ સામે જજની સંખ્યા 33 થઈ હતી. જેમાંથી 1 સિનિયર જજ બી.એન કારીયા રિટાયર્ડ થયા છે. ઉપરાંત જસ્ટિસ જે.બી પારડીવાલાની સુપ્રિમ કોર્ટમાં નિમણુંક થવાથી ગુજરાત હાઇકોર્ટમાં કુલ જજની સંખ્યા 31 થવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.