ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સના ગાંધીઅન સોસાયટી દ્વારા ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર અમૃત મહોત્સવનો પૂર્ણાહુતી કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તથા જાણીતા ઈતિહાસકાર હરી દેસાઈએ “આઝાદી પછીના પડકારો” વિશે યોજાયેલ સેમિનારમાં વક્તવ્ય આપ્યુ હતુ.
ડૉ. દેસાઈએ કહ્યું હતુ કે, આઝાદી પછી તરત જ પહેલો પડકાર દેશના રજવાડાઓને એક કરી અખંડ ભારતની રચના કરવાનો હતો. જે ઘણુ મુશ્કેલ કાર્ય હતુ પરંતુ સરદાર પટેલે ખુબ જ કુનેહપૂર્વક પોતાની મુત્સદ્દીથી આ ભગીરથ કાર્ય કરી બતાવ્યું. આઝાદીના સમયમાં દેશની વસ્તી લગભગ 32 કરોડ હતી જેની પાયાની જરૂરીયાત પૂરી પાડવી પણ ઘણું મુશ્કેલ કામ હતુ. જે પંડીત નેહરૂએ નિષ્ઠાપૂર્વક પુરું પાડ્યુ. શિક્ષણ, આરોગ્ય તથા ધંધા રોજગારને ઉભો કરવા દેશના કર્ણધારોએ કમર કસી હતી.
કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે કહ્યું હતુ કે, આઝાદી પછીના આજના પડકારોમાં સૌ પ્રથમ ગરીબી તથા બેકારી હટાવવી છે. દેશનું યુવાધન ભારત છોડી પરદેશમાં અભ્યાસ કરી વસવાટ કરી રહ્યાં છે. જેમાં દેશનાં અબજો રૂપિયા પરદેશ જતા રહે છે. જેનાથી આપણા દેશની પ્રગતિ તથા વિકાસમાં અવરોધ ઉભો થયો છે. સર્વધર્મ સમભાવ તથા સર્વધર્મ સદ્દભાવ રાખીને બંધુત્વની ભાવના સાથે દેશના સાર્વભૌમત્વની રક્ષા સાથે આઝાદીના આ પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવી જોઈએ. એચ.એ. ગાંધીઅન સોસાયટી દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં કોલેજના ખુબ જ મોટી સંખ્યામાં અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.