અમદાવાદમાં જગન્નાથની રથયાત્રા નીકળશે કે નહીં તે અંગે હજી અસમંજસ ભરી સ્થિતિ છે. મંદિર ટ્રસ્ટને નિયમો સાથે જળયાત્રા કાઢવાની શહેર પોલીસ કમિશ્નરે મંજુરી આપી દીધી છે. ત્યારે શહેરમાં નાથની નગરયાત્રા જગન્નાથપુરી મોડલ પર નીકળી શકે તેવી માહિતી ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસેથી પ્રાપ્ત થઈ છે. આ વખતે રથયાત્રાના રૂટ પર જનતા કર્ફ્યૂ કે સંપૂર્ણ કર્ફ્યૂ નાંખીને ભક્તચો વિના જ રથયાત્રા નીકળે તેવી શક્યતાઓ હોવાની પોલીસ અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં રથયાત્રા અંગેની અસમંજસની સ્થિતિ, 21મીએ અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ ઉકેલ આવી શકે છે
પોલીસે તમામ તૈયારીઓ શરુ કરી
ભગવાન જગન્નાથની રથયાત્રા માટે હાલ પોલીસ દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જો રથયાત્રા નીકળવાની મંજુરી મળે ગ્રીન સિગ્નલ મળે તો તેના માટે નાની મોટી તમામ તૈયારીઓ કરવાની શરુઆત કરવામા આવી છે. આ માટે છેલ્લા 15 દીવસથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ઓન ટેબલ પેપર વર્ક કરવામાં આવી રહ્યું હતું. હવે પોલીસ રથયાત્રા સંદર્ભે એક્શનમાં આવી ગઈ છે. જે માટે ફૂટ પેટ્રોલીગ અને પોઇન્ટ બાબતે તૈયારી કરી દેવામાં આવી છે. હવે ગ્રીન સિગ્નલ મળે તો કઈ પરિસ્થિતિમાં રથયાત્રા કાઢવી તેનો નિર્ણય લેવામાં આવશે.
રથયાત્રામાં ભગવાન હશે પણ ભક્ત નહીં
ઉચ્ચ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોરોનાનાં કેસ ઓછા થયા છે પણ સંભવિત ત્રીજી વેવને નકારી શકાય નહીં. જે માટે એક સંભાવના એ પણ છે કે આ વખતે રથયાત્રા તો નીકળે પણ તેમાં ભગવાન હોય પણ ભક્ત નહિ.રથયાત્રાના માર્ગ પર કરફ્યૂ લગાવવામાં આવે અથવા જનતા કરફ્યૂ મુકવામાં આવે જેથી કોરોના સંક્રમણ ફેલાય નહિ. આ વખતે રથયાત્રા જો નીકળશે તો અખાડા અને ટ્રક ઝાખીઓ ઓછી હોય કે ન પણ હોય તેવું બની શકે છે.
અમદાવાદ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી શું કહે છે?
જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 30થી 35 લોકોની હાજરીમાં કોરોનાની ગાઇડલાઇન મુજબ જળયાત્રા યોજાશે. જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર રહેશે. 1 ગજરાજ, 5 ધજા અને 5 કળશ સાથે જળયાત્રા યોજવામાં આવશે. સાબરમતી નદી કિનારે સોમનાથ ભુદરના આરેથી કળશમાં પાણી ભરીને મંદિરમાં લાવવામાં આવે છે. દર વર્ષે 108 કળશમાં પાણી ભરી વાજતે ગાજતે જળયાત્રા યોજાય છે પરંતુ કોરોના મહામારીના કારણે જળયાત્રા સાદાઈથી ઓછા લોકો અને ભક્તો વિના યોજાશે.
જગન્નાથ પુરીની રથયાત્રાનું મોડલ શું છે
ભારતના સૌથી મોટા ધાર્મિક તહેવારોમાં સામેલ ઓડીશાની જગન્નાથપુરી રથયાત્રા 2020માં કોરોના મહામારી વચ્ચે શરૂ થઈ હતી. સામાન્ય રીતે આ તહેવારે દસ લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે, પણ તે વખતે અનેક નિયંત્રણો અને કરફયુ વચ્ચે યાત્રાનો પ્રારંભ થયો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તે સમયે સમગ્ર પુરીમાં કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો હતો. એક રથ ખેંચવા માટે માત્ર 500 લોકોને જ મંજુરી આપવામાં આવી હતી. આ 500 લોકોના કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યાં હતાં.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.