તાજેતરમાં પડેલા મૂશળધાર વરસાદને લીધે શાકભાજી મોંઘા થયા છે. સપ્તાહ સુધી અવિરત વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા ઊભો પાક નાશ પામ્યો છે. વરસાદને લીધે શાકભાજીની આવક અડધી થઇ જતાં ભાવ બમણાં થઇ ગયા છે. જેને કારણે ભીંડા, ગુવાર, ગવાર, કાકડી, ટીંડોળા સહિતના શાકભાજીના ભાવ પ્રતિકિલો રૂ. 80થી 100એ પહોંચી ગયા છે. જ્યારે ચોળી તો બજારમાંથી ગાયબ જ થઇ ગઇ છે.
રાજ્યમાં પડેલા અવિરત વરસાદના કારણે પાકને નુકસાન થવાની સાથે ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. જેની સીધી અસર ભાવ પર પડી છે. દરેક લીલા શાકભાજી અત્યારે રૂ. 100ને આંબી ગયા છે. જ્યારે રોજિંદા વપરાશમાં આવતા ડુંગળી અને બટાકાના ભાવ પણ રૂ. 30 કિલો થઇ ગયા છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. હજુ પણ લીંબુના ભાવ છૂટક બજારમાં રૂ. 70થી 80 ચાલી રહ્યા છે. જ્યારે લીલા મરચાંથી માડીને સિમલા મરચાના ભાવ પણ બમણાં થઇ ગયા છે. આગામી થોડા દિવસ સુધી શાકભાજીના ભાવવધારાનો માર લોકોએ સહન કરવો પડશે.
શાકભાજી | છૂટક | હોલસેલ |
ભીંડા | 100 | 65 |
ટીંડોળા | 110 | 70 |
ગવાર | 120 | 80 |
કંકોડા | 200 | 120 |
મેથી | 140 | 80 |
પરવર | 110 | 60 |
રવૈયા | 95 | 45 |
ચોળી | 200 | 110 |
કારેલા | 100 | 55 |
કોથમીર | 200 | 95 |
માગ જેટલો પુરવઠો નથી
વરસાદના કારણે ખેતરોમાં ઊભા પાકને નુકસાન થવાની સાથે પાણી ભરાઇ ગયા છે. શહેરમાં આવતા ભીંડા, ટીંડોળા, ગવાર, કોથમીર સહિતના શાકભાજીની આવકમાં 30થી 50 ટકાનો ઘટાડો થયો છે. જેના કારણે શાકભાજીના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. લીંબુના ભાવમાં પણ ફરી વધારો થયો છે. - દીપક પટેલ, સેક્રેટરી, એપીએમસી અમદાવાદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.