આજથી IPL 2023નો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રારંભ થવા જઈ રહ્યો છે. સૌપ્રથમ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે ઓપનિંગ મેચ યોજાવાની છે. આજની મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે, જેથી 1.15 લાખ પ્રેક્ષકની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું જોવા મળશે. બપોરે 3:30 વાગ્યાથી લોકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવાનું શરૂ થઈ ગયું છે. એન્ટ્રી શરૂ થતાં જ મેચને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેટ્રોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે.
બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા, રશ્મિકા મંદાના, સિંગર અરિજિતસિંહ ઓપનિંગ સેરેમનીમાં પર્ફોર્મન્સ કરશે. આજે ઓપનિંગ સેરેમની દરમિયાન 1500 જેટલા ડ્રોન મારફત આઇપીએલ 2023ના કપની કૃતિ આકાશમાં બનાવવામાં આવશે.
ફોટોઝમાં જુઓ IPL મેચનો રોમાંચ
ટિકિટનાં કાળાં બજારને રોકવા ખાસ જાહેરનામું
IPL મેચની ટિકિટોનાં કાળાં બજાર થતાં હોય છે. મેચના ટિકિટોનું વેચાણ શરૂ થાય ત્યારે કેટલાંક તત્ત્વો એકસાથે મોટી સંખ્યામાં ટિકિટો ખરીદી લે છે અને ત્યાર બાદ એને ઊંચા ભાવે વેચાણ કરતા હોય છે. અમદાવાદમાં IPL મેચનાં કાળાં બજારને રોકવા માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, એમાં જે પણ વ્યક્તિ IPL મેચની ટિકિટો ભાવ કરતાં વધુ કિંમતે વેચાણ કરતા મળી આવશે તો તેની સામે ગુજરાત પોલીસ એક્ટ 1951ની કલમ 131 કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામું આજથી 16 મે 2023 સુધી લાગુ રહેશે.
મેટ્રો દર 12 મિનિટે મળી રહેશે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે યોજાનારી આઈપીએલની પ્રથમ મેચ માટે પ્રેક્ષકોને સ્ટેડિયમ પહોંચાડવા અને પાછા લાવવા રાત્રે અઢી વાગ્યા સુધી મેટ્રો દોડાવાશે, જ્યારે બીઆરટીએસની 74 બસ રાત્રે 12 વાગ્યા સુધી અને એએમટીએસની 91 બસ રાત્રે 1:30 વાગ્યા સુધી દોડાવાશે. મેટ્રો દર 12 મિનિટે મળી રહેશે. ગઈકાલે ગુરુવારની સાંજે શહેરમાં વરસાદ પડતાં સ્ટેડિયમના ખૂણે પાણી ભરાયાં હતાં. મોદી સ્ટેડિયમમાં બપોરે 3 વાગ્યાથી પ્રવેશ આપવામાં આવશે.
અભિનેત્રી તમન્ના ભાટિયા, રશ્મિકા મંદાના સહિતના સ્ટાર પર્ફોર્મ કરશે
પ્રથમ મેચ પહેલાં આઇપીએલ-16નો ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાશે, જેમાં જાણીતા ગાયક અરિજિત સિંહ, અભિનેત્રી તમન્ના ભાટિયા, રશ્મિકા મંદાના સહિતનાં સ્ટાર પર્ફોર્મ કરશે. 41 વર્ષીય મહેન્દ્ર સિંહ ધોની ચેન્નઈનો કેપ્ટન છે, જ્યારે ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા છે. ધોની ઈજાને કારણે અનફિટ હોવાના અહેવાલ ગુરુવારે વહેતા થયા હતા, પણ બાદમાં ટીમે સ્પષ્ટતા કરી હતી કે ધોની સંપૂર્ણપણે ફિટ છે અને ગુજરાત સામે રમવા તૈયાર છે. 2022માં આઇપીએલના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની પ્રથમ સીઝન હતી.
નરોડા રૂટ પર રાબેતા મુજબની 45 ઉપરાંત વધારાની 21 બસ દોડાવાશે
બીઆરટીએસના એલડીથી ઝુંડાલ રૂટ પર તેમજ ઝુંડાલથી નરોડા રૂટ પર રાબેતા મુજબની 45 ઉપરાંત વધારાની 21 બસ દોડાવાશે. એએમટીએસની રાબેતા મુજબની 10 રૂટની 66 બસ ઉપરાંત વધારાની 25 બસ દોડાવાશે. વાસણા, મણિનગર, ઓઢવ, સીટીએમ, થલતેજ સહિતના વિસ્તારમાંથી 5-5 વધારાની બસ મુકાશે. આજે પહેલી મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ વચ્ચે રમાશે.
બપોરે 2 વાગ્યાથી જનપથથી મોટેરા રોડ વાહનો માટે બંધ
આજે બપોરે 2 વાગ્યાથી જનપથથી મોટેરા સુધીનો રસ્તો વાહનચાલકો માટે બંધ રહેશે. જનપથથી વિસત ઓએનજીસી થઈ તપોવન સર્કલ સુધી અવરજવર કરી શકાશે. બીઆરટીએસની 29 વધુ બસો મુકાશે, સાથે જ એના રૂટમાં વધારો કરાશે, સાથે મેટ્રોનો પણ સમય રાત્રિના 2:30 વાગ્યા સુધી કરી દેવાયો છે. દર 8થી 10 મિનિટે સ્ટેડિયમથી બસ મળશે.
ધોની-કાર્તિકની આ આખરી આઇપીએલ હોઈ શકે છે
આ વખતે ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ
આઇપીએલની આ સીઝનમાં ઇમ્પેક્ટ પ્લેયર નિયમ હેઠળ એક ટીમમાં 12 ખેલાડી રમશે. જ્યારે વાઇડ અને કમરથી ઉપરના નો બોલ માટે ડીઆરએસ લઈ શકાશે.
અમદાવાદમાં વરસાદની શક્યતા
અમદાવાદમાં ગુરુવારે સાંજે વિવિધ વિસ્તારોમાં વરસાદ થયો હતો. આજે આઇપીએલની પ્રથમ મેચ છે ત્યારે પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.